સૌથી વધુ કંડલા એરપોર્ટ પર ૪૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયું
(એજન્સી)અમદાવાદ, રાજ્યભરમાં આજે કાળઝાળ ગરમીને લીધે જનજીવન પર અસર પડી હતી, બપોરના ટાણે આકાશમાં અંગારા ઓકતી ગરમીને કારણે રોડ-રસ્તાઓ સુમસામ બન્યા હતા. રાજ્યના ચાર નગરોનો પારો ૪૪ ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદમાં સૌથી વધારે ૪૪.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
આ ઉપરાંત અમરેલીમાં ૪૪.૫, રાજકોટમાં ૪૪.૪ અને ગાંધીનગરમાં ૪૪.૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત ભુજમાં ૪૩.૮ અને વડોદરામાં ૪૩ ડિગ્રી જેટલી ગરમી નોંધાઈ હતી. આમ મેગાસિટી અમદાવાદમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રીએ નજીક પહોંચ્યો હતો.
દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં આગામી બે દિવસ માટે આકરી ગરમી અને હીટવેવની ચેતવણી જાહેર કરી છે, જેમાં તાપમાનનો પારો ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની શક્યતા છે. નાગરિકોને બપોરના સમયે બહાર ન નીકળવા અને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં ઉનાળો હવે તેના ‘ટોપ ગીયર’માં આવી ગયો હોય તેમ આકાશમાંથી અગનગોળા વરસાવતી કાળઝાળ ગરમી પડી રહી છે. અમદાવાદમાં ગરમીએ માઝા મૂકી છે અને ૪૪ ડિગ્રી સાથે અમદાવાદ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું છે. અને છેલ્લા પાંચ દિવસમાં જ તાપમાનમાં ૪ ડિગ્રીનો તોતિંગ વધારો થયો છે. આજે નોંધાયેલું ૪૪ ડિગ્રી તાપમાન સામાન્ય કરતાં૩.૮ ડિગ્રી વધુ છે.
છેલ્લા ૧૫ વર્ષના ઇતિહાસમાં એપ્રિલ માસમાં તાપમાન ૪૩ ડિગ્રીને પાર થયું હોય તેવું આ પાંચમી વખત બન્યું છે. હવામાન નિષ્ણાતોના મતે, આગામી બે દિવસમાં અમદાવાદમાં પારો ૪૫ ડિગ્રી સુધી પણ પહોંચી શકે છે. સૌથી વધુ રાજ્યના કંડલા એરપોર્ટ પર ૪૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ અને સુરત જિલ્લામાં હીટવેવની અસર જોવા મળશે.
જ્યારે આવતીકાલે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, પાટણ ઉપરાંત બોટાદ અને અમદાવાદ જિલ્લામાં પણ કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. આજે રાજ્યમાં મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો, પરંતુ ગરમીના પ્રકોપને જોતા મતદારોએ વહેલી સવારથી જ મતદાન મથકો પર પહોંચવાનું પસંદ કર્યું હતું. અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગના અંદાજ મુજબ, આગામી સમયગાળા દરમિયાન તાપમાન ૪૧ડિગ્રી થી ૪૫ ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે જેના કારણે બપોરના સમયે લોકો કામ વગર બહાર નીકળવાનું પણ ટાળે છે અને ઘરે કે ઓફિસમાં એસી તથા પંખા પાસે જ બેસવાનું પસંદ કરી રહ્યાં છે.
રાજ્યના મોટાભાગના નગરોમાં તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને પાર પહોંચ્યો છે અને હજુ ગરમીનો પારો વધે તેવી શકયતાઓ છે. જેથી હવામાન વિભાગે લોકોને ગરમીને લઈને બપોરના સમયે કામ વિના બહાર નીકળવાનુ ટાળવાની અપીલ કરી છે. સવારના ૧૦ વાગ્યાની આસપાસ જ આકાશમાંથી અગ્નવર્ષા શરૂ થઈ જાય છે એટલું જ નહીં સાંજના સમયે પણ લોકો ગરમ પવનનો અનુભવ કરી રહ્યાં છે.

