ર૦ર૬-ર૭ માટે પુસ્તકો તૈયાર કરવાના ટેન્ડરમાં વિવાદથી અઢી મહિના વેડફાયા -કાનૂની કાર્યવાહી દરમિયાન યુદ્ધ શરૂ થતાં કાગળના ભાવો ઉંચકાતા જે તે એજન્સીનો જૂના ભાવે કામનો ઈન્કાર
(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં પાઠય-પુસ્તક મંડળ દ્વારા ધો.૧થી ૧રના પુસ્તકો છપાવવા માટે આપવામાં આવેલા ટેન્ડરમાં કાયદાકીય વિવાદ થતાં મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. કોર્ટમાંથી ચુકાદો આવ્યા બાદ મંડળે કરેલી પ્રક્રિયાને માન્ય રખાઈ હતી.
મહત્ત્વની વાત એ કે, કોર્ટની કાર્યવાહી દરમિયાન જે તે સમય વ્યય થયો તો દરમિયાન ખાડી દેશોમાં યુદ્ધ શરૂ થતાં કાગળનો ભાવ વધી જતાં નવેસરથી ટેન્ડરીંગ પ્રક્રિયા પછી પણ સરવાળે પાઠય-પુસ્તક મંડળે ૧ર કરોડનો બોજો ઉઠાવવો પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
રાજ્ય પાઠય પુસ્તક મંડળ દ્વારા દર વર્ષે કોર્પોરેશન, સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.૧થી ૧રના પુસ્તકો આપવામાં આવે છે. આ માટે મંડળ દર વર્ષે ટેન્ડર બહાર પાડીને જે તે એજન્સીને કોન્ટ્રાક્ટ આપે છે. વર્ષ ર૦ર૬-ર૭ માટે ટેન્ડર બહાર પાડીને એક એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો જેની સામે રિઝેકટ કરવામાં આવેલી એજન્સી કે કંપનીએ કોર્ટમાં રિટ કરી હતી. આ કાયદાકીય પ્રક્રિયામાં બેથી અઢી માસ જેટલો સમય પસાર થઈ ગયો હતો.
કોર્ટનો ચુકાદો આવ્યા બાદ મંડળ દ્વારા જે તે એજન્સીને કામગીરી શરૂ કરવા માટે સૂચના આપવામાં આવી ત્યારે ખાડી દેશોમાં યુદ્ધ શરૂ થઈ ચૂકયું હોવાથી જે તે એજન્સીએ જૂના ભાવે કામગીરી કરવા ઈન્કાર કરી દીધો હતો જેના કારણે નવેસરથી ટેન્ડરની પ્રક્રિયા કરવામાં આવી હતી. સૂત્રો કહે છે કે નવેસરથી જે પ્રક્રિયા કરવામાં આવી તેમાં પણ ભાવ વધારો આવ્યો હતો.
આ ભાવ વધારાને લઈને એવી ફરિયાદ પણ ઉઠી હતી કે, પાઠય પુસ્તક મંડળે ઉંચા ભાવે ખરીદી કરીને કૌભાંડ આચર્યું છે. આ મુદ્દે પાઠય પુસ્તકના મંડળના નિયામકે એવો બચાવ કર્યો હતો કે, નિયમ પ્રમાણે ૬ માસમાં કાગળ પૂરો પાડવાનો હોય છે. યુદ્ધના કારણે કામગીરીમાં વિલંબ થાય તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
જૂનમાં સ્કૂલો શરૂ થવાની હોવાથી વિદ્યાર્થીઓને સત્ર શરૂ થાય ત્યાં સુધીમાં પુસ્તકો મળી રહે તે માટે ૩૦ દિવસમાં કાગળ મળી રહે તે પ્રકારનું ટેન્ડર કરવામાં આવ્યું હતું જેમાં પણ ગુજરાતમાં સૌથી નીચો ભાવ આવ્યો હોવાનો દાવો પણ મંડળ દ્વારા કરવામાં આવ્યો હતો. શિક્ષણ વિભાગ દ્વારા પુસ્તકોની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

