અભિયાનના પ્રથમ બે દિવસમાં જ ૧૦ હજારથી વધુ ખેડૂતોને માર્ગદર્શન અપાયું; રાજ્યના ૮,૦૦૦ ગામોના ૬ લાખથી વધુ ખેડૂતોને માર્ગદર્શન આપવાનો લક્ષ્યાંક
વૈજ્ઞાનિક માર્ગદર્શન અને પ્રાકૃતિક ખેતીના સમન્વયથી ખેતર સુરક્ષિત અને ખેડૂત સમૃદ્ધ બનશે: કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાનિર્દેશ હેઠળ ભારત સરકારે સમગ્ર દેશમાં તા. ૧ જૂનથી ૩૦ જૂન,૨૦૨૬ દરમિયાન “ખેત બચાવો અભિયાન” શરુ કર્યું છે. આ અભિયાન અંતર્ગત કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ ગુજરાતમાં ગાંધીનગર જિલ્લાના શેરથા ગામેથી “ખેત બચાવો અભિયાન” રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.
રાજ્યના ૮,૦૦૦થી વધુ ગામોને આવરી લઈ અંદાજે ૬ લાખથી વધુ ખેડૂતોને સીધું માર્ગદર્શન પૂરું પાડવાના ઉમદા આશય સાથે‘ખેત બચાવો અભિયાન‘આગામી તા. ૩૦ જૂન સુધી સમગ્ર રાજ્યમાં સઘન રીતે ચલાવવામાં આવશે.
આ અભિયાનનો ઉદ્દેશ સ્પષ્ટ કરતાં કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે,રાસાયણિક ખાતરોનો બિનજરૂરી અને અસંતુલિત ઉપયોગ અટકાવવા અને જમીનની ફળદ્રુપતાના રક્ષણ માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ ખેડૂતોને યુરિયા અનેDAPખાતરના વધુ પડતા વપરાશમાં ઘટાડો કરવા તથા તેના અસરકારક વિકલ્પરૂપે એમોનિયમ સલ્ફેટ,સિંગલ સુપર ફોસ્ફેટ (SSP), NPKકોમ્પ્લેક્ષ ખાતર,આધુનિક નેનો-યુરિયા અને નેનો-ડીએપી જેવા નાઇટ્રોજન તથા ફોસ્ફેટિક ખાતરોના ઉપયોગ સંદર્ભે જાગૃત કરવામાં આવશે.
આ અભિયાન હેઠળ પ્રાકૃતિક ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપી જમીનના ભૌતિક અને જૈવિક સ્વાસ્થ્યમાં ટકાઉ સુધારો કરવા તથા વૈજ્ઞાનિક માર્ગદર્શન દ્વારા ખેતી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો કરી ખેડૂતોની આર્થિક આવક વધારવા તરફ પ્રેરિત કરવામાં આવશે,તેમ પણ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ અભિયાનની પૂર્વતૈયારી રૂપે રાજ્યમાં સમતોલ અને સંકલિત ખાતર વપરાશ અંગે તા. ૧૬-૦૫-૨૦૨૬ થી તા. ૧૫-૦૬-૨૦૨૬ સુધી એક માસ સુધી “ખેડૂત જાગૃતિ અભિયાન” શરુ કરવામાં આવ્યું હતું,જેને હવે ૧ જૂનથી “ખેત બચાવો અભિયાન” સાથે સંકલિત કરી વધુ વ્યાપક બનાવાયું છે.
એક માસ સુધી ચાલેલા આ ખેડૂત જાગૃતિ અભિયાન હેઠળ રાજ્યભરમાં કુલ ૮,૯૪૫ કૃષિ જાગૃતિ કાર્યક્રમોનું સફળ આયોજન થયું હતું. જેમાં,૮,૯૪૫ ગામોના અંદાજે ૩.૨૦ લાખથી વધુ ખેડૂતોને ખેતીવાડી ખાતાના અધિકારીઓ અને કૃષિ યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા સીધું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તદુપરાંત,૧૬,૦૦૦થી વધુ ખેડૂતોની એગ્રી સ્ટેક ફાર્મર રજિસ્ટ્રી હેઠળ સફળ નોંધણી કરવામાં આવી હતી તેમજ ૫૦૦ લીટરથી વધુ નેનો ફર્ટિલાઈઝર અને અન્ય વૈકલ્પિક ખાતરોનું વ્યાપક વિતરણ કરવામાં આવ્યું હતું.
ખેત બચાવો અભિયાન અંતર્ગત માત્ર બે જ દિવસના ટૂંકા સમયગાળામાં કુલ ૨૯૬ કાર્યક્રમો સંપન્ન કરવામાં આવ્યા છે. જેમાં,૨૯૬ ગામોના અંદાજે ૧૦,૪૨૦ ખેડૂતોને કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ ઉપરાંત ૧,૦૦૦થી વધુ ખેડૂતોની એગ્રી સ્ટેક ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત નોંધણી તથા નેનો ફર્ટિલાઈઝર વિતરણ સાથે કૃષિ વિભાગની વિવિધ યોજનાઓના સહાય-મંજૂરી પત્રો ખેડૂતોને એનાયત કરવામાં આવ્યા છે.
“ખેત બચાવો અભિયાન”ના માધ્યમથી કૃષિ મંત્રીશ્રીએ રાજ્યના તમામ ખેડૂતોને અપીલ કરી છે કે,તેઓ પોતાની ખેતીલાયક જમીનના ઓછામાં ઓછા ૨૫ ટકા ભાગમાં પ્રાકૃતિક કૃષિ અપનાવે,જેથી ઓછા ખર્ચે ટકાઉ,સમૃદ્ધ અને ઝેરમુક્ત ખેતી તરફ દેશ એક નવી દિશામાં આગળ વધી શકે.

