(એજન્સી)અમદાવાદ, ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચામાં આવ્યું છે. યુનેસ્કોની એક ઉચ્ચ સ્તરીય ટીમ અમદાવાદની મુલાકાતે આવી પહોંચી છે. આ ટીમ ‘રિએક્ટિવ મોનિટરિંગ’ પ્રક્રિયાના ભાગરૂપે અમદાવાદ શહેરના વિવિધ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈને હેરિટેજ વારસાની જાળવણીનું નિરીક્ષણ કર્યું હતું.
યુનેસ્કોની ટીમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. આ બેઠક દરમિયાન અમદાવાદ શહેરના હેરિટેજ સ્થાપત્યોની સુરક્ષા, જાળવણી અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલા પગલાં વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો જાળવી રાખવા માટે એએમસી દ્વારા કરવામાં આવતી કામગીરીનું ટીમે નિરીક્ષણ કર્યું હતું. યુનેસ્કોની ટીમે શહેરના કેટલાક પ્રમુખ સ્થાપત્યોની જાતતપાસ કરી હતી.
જેમાં યુનેસ્કોની ટીમે કાલુપુર રેલ્વે સ્ટેશન વિસ્તારની મુલાકાત લીધી હતી. નોંધનીય છે કે, આ સ્ટેશનની આસપાસ અનેક હેરિટેજ વાસ્તુ શિલ્પો આવેલા છે, જેની જાળવણી અત્યંત મહત્વની છે. અમદાવાદની શાન ગણાતા ભદ્રના કિલ્લાની પણ ટીમે મુલાકાત લીધી હતી. કિલ્લાનું સ્ટ્રક્ચર અને તેની આસપાસ કરવામાં આવેલી કામગીરી અંગે ટીમે માહિતી મેળવી હતી.

યુનેસ્કો દ્વારા જે અમદાવાદ શહેરોને હેરિટેજ સિટીનો દરજ્જો આપવામાં આવે છે, ત્યાં સમય-સમય પર આવી તપાસ કરવામાં આવે છે. આ પ્રક્રિયા દ્વારા એ જોવામાં આવે છે કે, શું શહેર તેના ઐતિહાસિક મૂલ્યોને જાળવી રાખવામાં સફળ રહ્યું છે કે કેમ. ટીમના આ અહેવાલના આધારે આગામી દિવસોમાં હેરિટેજ જાળવણી માટેના નવા માર્ગદર્શનો મળી શકે છે.

