પત્રકાર ગૌરી લંકેશ હત્યા કેસના આરોપી શ્રીકાંત પાંગારકર જાલના મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી જીત્યા છે. મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13માંથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા પાંગારકરનું પરિણામ જાહેર થતાં જ તેમના સમર્થકોએ ઉજવણી શરૂ કરી દીધી હતી. જેના કારણે ચૂંટણીના રાજકારણમાં આરોપીઓની હાજરીને લઈને નવી ચર્ચા શરૂ થઈ છે. નોંધનીય છે કે પાંગારકરે આ બેઠક પરથી ભાજપ અને અન્ય પક્ષોના ઉમેદવારોને 2621 મતોના માર્જિનથી હરાવ્યા હતા.
2017માં પત્રકાર ગૌરી લંકેશ હત્યા કેસમાં પાંગારકર હજુ પણ આરોપોનો સામનો કરી રહ્યા છે. આ કેસની સુનાવણી હજુ ચાલી રહી છે. કોર્પોરેશનની ચૂંટણી જીત્યા પછી, પાંગારકરે કહ્યું કે હજુ સુધી તેમની સામે કોઈ દોષિત ઠેરવવામાં આવ્યું નથી, કાયદાકીય પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે.
તમને જણાવી દઈએ કે, પાંગારકર 2001 થી 2006 સુધી શિવસેનાનો ભાગ હતો અને જાલનામાં કાઉન્સિલર તરીકે કામ કર્યું હતું. જોકે, 2011ની ચૂંટણીમાં પાર્ટી દ્વારા તેમને ટિકિટ આપવામાં આવી ન હતી.
ગૌરી લંકેશ કેસમાં ધરપકડ થયા બાદ પાંગારકરની રાજકીય કારકિર્દી લગભગ બંધ થઈ ગઈ હતી. જો કે, 2024 માં તેમની મુક્તિ પછી, તેમણે ફરી એકવાર રાજકારણમાં કારકિર્દી શરૂ કરવાનો પ્રયાસ કર્યો. પાંગારકર મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા શિંદે જૂથમાં જોડાવાના હતા, પરંતુ વ્યાપક વિરોધ બાદ તેમનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
ગૌરી લંકેશ હત્યા કેસ
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં પત્રકાર ગૌરી લંકેશની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. 2017માં બનેલી આ ઘટનાએ દેશભરમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર ચર્ચા જગાવી હતી. આ હત્યાકાંડ પછી પોલીસે મોટાપાયે દરોડા પાડ્યા હતા અને પાંગારકરની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, 4 સપ્ટેમ્બર 2024ના રોજ કર્ણાટક હાઈકોર્ટ દ્વારા તેમને જામીન આપવામાં આવ્યા હતા.

