શ્રી કાંતિલાલ અમૃતિયા મોરબીનાં ધારાસભ્ય છે. સરકારમાં શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યકક્ષાનાં મંત્રી છે. વર્ષ 2025માં મચ્છુ ડેમ(2)નાં કાંઠે 1200 વીઘા જમીનમાં દસ લાખ વૃક્ષો ઉછેરી વન સર્જ્યુ.
વર્ષ 2025માં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનાં 75માં જન્મ દિવસે રાજ્યનાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતનાં સૌથી મોટા વન કવચ ‘નમો વન’નું લોકાર્પણ કર્યુ હતું.
તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ફરી વખત આ નમોવનની મુલાકાત લીધી હતી અને લોકો આ વનનો આનંદ લઇ શકે તે માટે રૂ ત્રણ કરોડના ખર્ચે આઇકોનિક રોડ બનાવવા માટે વિશેષ ગ્રાન્ટ ફાળવી.
કેન્સર કાંતિલાલને હરાવી શક્યુ નહીં,પ્રકૃતિને ખોળે શેષ જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો.
‘વિશાળે જગ વિસ્તારે,નથી એક જ માનવી,પશુ છે,પંખી છે,પુષ્પો,વનો,ને છે વનસ્પતિ,’’ઉમાશંકર જોશીની આ કાવ્યપંક્તિને ચરિતાર્થ કરવાનું કામ રાજ્યનાં શ્રમ,કૌશલ્ય વિકાસ અને રોજગારનાં રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાએ મોરબીમાં કર્યું છે.
મોરબીનાં પાદરમાં આવેલા મચ્છુ (2) ડેમનાં કાંઠે શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટની 1200 વીઘા જમીનમાં વર્ષ 2025માં દસ લાખ વૃક્ષો વાવીને ઉછેરવામાં કાંતિલાલ અમૃતિયાએ પરસેવો રેડ્યો છે.

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનાં 75માં જન્મદિવસે આ વન કવચ (નમો વન)નું રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં હસ્તે લોકાર્પણ થયુ હતું. આઠ મહિના પહેલા જે વિસ્તાર વેરાન વગડો હતો ત્યાં અત્યારે વનરાજી ખીલી ઉઠી છે.
“કાનાભાઈ”નાં હુલામણા નામથી જાણીતા શ્રી કાંતિલાલ અમૃતિયા સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી શ્રી મોરબી પાંજરાપોળ ટ્રસ્ટનાં એક ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ પાસે 4500 વીઘા જમીન છે. પર્યાવરણને બચાવવા આપણે કંઇક દાખલારૂપ કરવું જોઇએ એ વિચારથી કાંતિલાલ અમૃતિયાએ ભગીરથ કાર્ય હાથ પર લીધુ અને ગુજરાતનું સૌથી મોટુ ‘વન કવચ’ (નમો વન) બનાવવાનો મક્કમ નિર્ધાર કર્યો.

મચ્છુ ડેમ (2)ના કાંઠે આવેલી ટ્રસ્ટની 1200 વીધા જમીનમાં દસ લાખ વૃક્ષો વાવવાનું ભગીરથ અભિયાન શરૂ કર્યુ. મચ્છુ કાંઠે આ પહેલા મચ્છુ ડેમનાં કાંઠે આઠ જેટલા ચેકડેમ બનાવી જળસંચયનું કામ તો કર્યુ જ છે.

