(એજન્સી)સુરત, સુરત એરપોર્ટ, જેને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો મળ્યો છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતા તે માત્ર નામ પૂરતું જ રહી ગયું છે. તાજેતરમાં એર ઈન્ડિયા એકસપ્રેસ દ્વારા સુરતથી બેંગકોક જતી સીધી ફ્લાઈટ બંધ કરવામાં આવી છે. કંપનીએ આ નિર્ણય પાછળ નુકસાનને મુખ્ય કારણ ગણાવ્યું છે.
માર્ચ ૨૦૨૬માં સુરત-બેંગકોક રૂટ પર ૭ હજારથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હોવા છતાં, ફ્લાઈટ બંધ થવાથી મુસાફરોમાં નિરાશા ફેલાઈ છે. ખાસ કરીને ઉનાળા વેકેશનના સમયમાં, જ્યારે પ્રવાસીઓ માટે આંતરરાષ્ટ્રીય પ્રવાસની માંગ વધે છે, ત્યારે સુરતમાંથી એક પણ સીધી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ ઉપલબ્ધ નથી.
બીજી તરફ, મધ્ય પૂર્વમાં ચાલી રહેલી પરિસ્થિતિને કારણે દુબઈ અને શારજાહ માટેની ફ્લાઈટ્સ પણ હાલ સ્થગિત કરવામાં આવી છે. આ કારણે સુરત એરપોર્ટની આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી પર મોટો પ્રભાવ પડ્યો છે. હાલમાં સુરત એરપોર્ટ પરથી કુલ ૨૨ ડોમેસ્ટિક ફ્લાઈટ્સ કાર્યરત છે, જે દેશના વિવિધ શહેરો સાથે જોડાણ જાળવી રાખે છે.
પરંતુ આંતરરાષ્ટ્રીય સેવાઓના અભાવે વેપાર, પ્રવાસન અને મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિમાં, સુરત એરપોર્ટને ફરીથી આંતરરાષ્ટ્રીય સ્તરે સક્રિય બનાવવા માટે સત્તાધીશો અને એરલાઈન્સ દ્વારા યોગ્ય પગલાં લેવાય તેવી જરૂરિયાત છે.

