શિક્ષણ મંત્રીશ્રીએ આધ્યાત્મિક મૂલ્યો અને રાષ્ટ્ર નિર્માણ વચ્ચેના ગાઢ સંબંધ પર ભાર મૂક્યો
અમદાવાદ, ભગવાન શ્રી રામના ૬૪ દિવ્ય ગુણોને આવરી લેતા ‘સર્વસ્વ શ્રીરામ’ લઘુગ્રંથના અંગ્રેજી અને હિન્દી ભવાનુવાદના વિમોચન પ્રસંગે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે પ્રેરણાદાયી સંબોધન આપતાં આધ્યાત્મિક મૂલ્યો અને રાષ્ટ્ર નિર્માણ વચ્ચેના ગાઢ સંબંધ પર ભાર મૂક્યો હતો.
આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ભગવાન શ્રી રામનું જીવન માત્ર ધાર્મિક પ્રતીક પૂરતું મર્યાદિત નથી, પરંતુ નૈતિકતા, સમાનતા, સ્ત્રી-પુરુષ સમાન અધિકાર અને સામાજિક ન્યાય માટે એક સર્વમાન્ય આદર્શ માર્ગદર્શિકા છે. તેમણે ઉમેર્યું કે શ્રી રામના ૬૪ દિવ્ય ગુણો માનવજીવનને શ્રેષ્ઠ બનાવવામાં માર્ગદર્શક બની શકે છે અને સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવી શકે છે.
આ પ્રસંગે હિંદુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન (HSSF) અને IMCTF દ્વારા કરવામાં આવતા પ્રયાસોની પ્રશંસા કરતાં મંત્રીશ્રીએ જણાવ્યું કે આ સંસ્થાઓ પ્રાચીન ભારતીય મૂલ્યોના આધારે રાષ્ટ્રીય ચરિત્રના ઘડતરમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

મંત્રીશ્રીએ આધુનિક શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક મૂલ્યોના સંકલન પર ભાર મૂકતાં National Education Policy-2020નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે શાળાઓમાં ભગવદ ગીતા સહિતના ગ્રંથોના અભ્યાસ દ્વારા વિદ્યાર્થીઓમાં નૈતિકતા અને સંસ્કાર વિકસાવવા માટે પ્રયત્નો થઈ રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે શ્રી રામ જન્મભૂમિના પુનઃસ્થાપન અને વૈદિક જ્ઞાનના પુનર્જાગરણ દ્વારા ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આવા સાહિત્ય અને પ્રયાસો દેશને વૈશ્વિક નેતૃત્વ તરફ દોરી જવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ સમારોહમાં રામકૃષ્ણ મિશનના સ્વામી પરમાત્માનંદ સરસ્વતી, અગ્રણી સુરેન્દ્રભાઈ પટેલ, ગુણવંતસિંહ કોઠારી, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ ઝા સહિત વિવિધ ક્ષેત્રના આગેવાનો, શિક્ષણવિદો, આધ્યાત્મિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહ્યા હતા.

