ટેસ્ટ અને ટી-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા હવે વનડેની સાથે સાથે ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ પર પણ ફોકસ કરી રહ્યા છે. તે ODI ફોર્મેટમાં વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે રાજી થયો હતો એટલું જ નહીં, હવે તે T20 ફોર્મેટમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પણ રમતા જોવા મળશે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, હિટમેને મુંબઈ ક્રિકેટ એસોસિએશનને પોતાની ઈચ્છા વ્યક્ત કરી છે કે તે મુશ્તાક અલી ટ્રોફીની નોકઆઉટ મેચોમાં રમવા માંગે છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ મુંબઈ ક્રિકેટ એસોસિએશન સાથે સંકળાયેલા એક સૂત્રને ટાંકીને કહ્યું કે, ‘રોહિતે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના નોકઆઉટમાં મુંબઈ માટે રમવાની ઈચ્છા વ્યક્ત કરી છે.’ રોહિત શર્માએ આ નિર્ણય T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધા બાદ લીધો છે.
મુશ્તાક અલી ટ્રોફીમાં, મુંબઈએ લખનૌમાં લીગ સ્ટેજની ચારેય મેચો જીતી લીધી છે. ટીમ એલિટ ગ્રુપ Aમાં 16 પોઈન્ટ સાથે ટોચ પર છે અને નોકઆઉટ તબક્કામાં પ્રવેશી ગઈ છે.
રોહિત શર્મા હાલમાં સાઉથ આફ્રિકા સામેની વનડે સિરીઝમાં રમી રહ્યો છે. સીરીઝની ત્રીજી અને છેલ્લી મેચ શનિવારે રમાશે. આ રીતે રોહિત શર્મા 12મી ડિસેમ્બરથી શરૂ થનારી મુંબઈની નોક આઉટ મેચો માટે ઉપલબ્ધ રહેશે. મુંબઈની નોક આઉટ મેચ 12 ડિસેમ્બરથી 18 ડિસેમ્બર સુધી ઈન્દોરમાં રમાશે.

