(પ્રતિનિધિ) ગોધરા, કાળઝાળ ઉનાળાની વચ્ચે જ્યારે કુદરતી જળસ્રોતો સુકાઈ રહ્યા છે, ત્યારે મહીસાગર વન વિભાગે વન્યજીવોની તરસ છીપાવવા માટે પ્રશંસનીય પહેલ કરી છે. જિલ્લાના આશરે ૬૧,૬૮૭ હેક્ટર જેટલા વિશાળ વનવિસ્તારમાં દુર્ગમ અને પહાડી વિસ્તારોમાં કૃત્રિમ જળકુંડ (ગજલર) કાર્યરત કરીને વન્યજીવોને પાણીની સુલભતા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
વન વિભાગના નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ વિવિધ રેન્જમાં આ જળકુંડનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આ કુંડમાં કળી ચૂનાનો ઉપયોગ કરવાથી પાણી ઠંડું રહે છે તેમજ પ્રાણીઓને જરૂરી કેલ્શિયમ પણ મળી રહે છે, જે તેમના સ્વાસ્થ્ય માટે લાભદાયક સાબિત થાય છે.
ભીષણ ગરમી વચ્ચે પણ વનકર્મીઓ ટ્રેક્ટર અને ટેન્કર દ્વારા પથરાળ અને મુશ્કેલ રસ્તાઓ પાર કરીને નિયમિત રીતે આ જળકુંડમાં પાણી ભરવાની કામગીરી કરી રહ્યા છે.
ખાનપુર રેન્જમાં અંતરિયાળ વિસ્તારોમાં ૭ થી ૧૦ જેટલા ગજલર બનાવવામાં આવ્યા છે, જ્યાં સ્ટાફ દિવસ-રાત મોનિટરિંગ કરીને પાણી ખાલી ન થાય તેની કાળજી રાખે છે. વન અધિકારીઓના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં આ જળકુંડની આસપાસ વન્યજીવોની હિલચાલ અને સુરક્ષા પર નજર રાખવા માટે નાઈટ વિઝન કેમેરા સ્થાપિત કરવાની પણ યોજના છે.
આ પ્રયત્નોથી દીપડા, નીલગાય અને ઝરખ જેવા વન્યજીવોને જંગલમાં જ પાણી મળી રહે છે, જેના પરિણામે તેઓ માનવ વસાહતો તરફ ભટકતા અટકે છે અને માનવ-વન્યજીવ સંઘર્ષની શક્યતાઓ ઘટે છે. વન વિભાગે સાથે જ સામાન્ય જનતાને પણ અપીલ કરી છે કે તેઓ ઉનાળામાં પક્ષીઓ અને પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરીને જળસેવા કરે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે.

