ભાજપના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે હથોડી મારી નબળી ગુણવત્તા ખુલ્લી પાડી
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) મહેમદાવાદ તાલુકાના વાંઠવાડીમાં અંદાજે ૨ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહેલી માહી સિંચાઈ કેનાલની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની આશંકા સેવાઈ રહી છે.
ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે સ્થળ પર પહોંચી નિરીક્ષણ દરમિયાન હથોડીના સામાન્ય ફટકા મારતા જ કેનાલના પોપડા ઉખડી ગયા હતા, જેનાથી કામની હલકી ગુણવત્તાના પુરાવા સામે આવ્યા છે. જેને લઈને ધારાસભ્ય લાલ ગુમ બન્યા હતા
મહેમદાવાદના વાંઠવાડી વિસ્તારમાં માહી સિંચાઈ વિભાગ દ્વારા ૨ કરોડના ખર્ચે નવી કેનાલ બનાવવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે ખેડૂતો અને રહીશો દ્વારા આ કેનાલના કામમાં ગેરરીતિ થતી હોવાની વ્યાપક ફરિયાદો ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણને મળી હતી. આ ફરિયાદોને પગલે ધારાસભ્ય અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરને સાથે રાખીને સ્થળ પર તપાસ માટે પહોંચ્યા હતા.
તપાસ દરમિયાન ધારાસભ્યએ જ્યારે કેનાલ પર હથોડી મારીને તેની મજબૂતી ચકાસવાનો પ્રયાસ કર્યો, ત્યારે નવા બનેલા બાંધકામના પોપડા તુરંત જ ઉખડી ગયા હતા આ સ્થિતિ જોઈને ધારાસભ્યએ કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો.
ધારાસભ્યએ જણાવ્યું હતું કે પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. કેનાલના કામમાં વપરાયેલું મટીરીયલ અત્યંત હલકી ગુણવત્તાનું હોવાનું સપાટી પર આવ્યું છે. આ મામલે ધારાસભ્યએ કડક વલણ અપનાવતા સૂચના આપી છે કે ખેડૂતોને પૂરતું પાણી મળે અને લાંબા સમય સુધી કેનાલ ટકી રહે તે હેતુથી આખી કેનાલનું કામ નવેસરથી કરવામાં આવે .
વધુમાં, આ નબળી કામગીરી અંગે મુખ્યમંત્રી અને સંબંધિત વિભાગના મંત્રીઓને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું સરકારી નાણાંના વ્યય સામે ધારાસભ્યના આ આક્રમક વલણને કારણે કોન્ટ્રાક્ટર અને સંબંધિત અધિકારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

