(એજન્સી)વડોદરા, લોકશાહીના પર્વમાં અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એક હૃદયસ્પર્શી પણ નિરાશાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા બાદ તરત જ દેશ પ્રત્યેની ફરજ નિભાવવા નીકળેલા એક વરરાજાએ મતદાર યાદીની ક્ષતિને કારણે નિરાશ થઈ પરત ફરવું પડ્યું છે.
ફતેગંજ વિસ્તારમાં રહેતા પાર્થ આનંદરાવ હરાલના નિશાલી બહાદુર્ગે સાથે લગ્ન હતા. મંગળફેરા અને લગ્નની તમામ ધાર્મિક વિધિઓ પૂર્ણ થયા બાદ, નવા જીવનની શરૂઆત કરતા પહેલા આ નવદંપતીએ મતદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.
લગ્નનો ભવ્ય પોશાક અને શણગાર સજેલી હાલતમાં જ પાર્થ અને નિશાલી ફતેગંજની નવયુગ વિદ્યાલય ખાતેના મતદાન મથકે પહોંચ્યા હતા. નવદંપતીને મતદાન મથકે જોઈને ત્યાં હાજર અન્ય મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંતુ, જ્યારે પાર્થભાઈ મતદાન કરવા અંદર ગયા ત્યારે અધિકારીઓએ તપાસ કરતા જાણવા મળ્યું કે મતદાર યાદીમાં તેમનું નામ નોંધાયેલું જ નથી.

