ઈરાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનું કાવતરું ઘડી રહ્યું છે. ઇઝરાયલે આ વાત અમેરિકા સમક્ષ 20 વખત દોહરાવી છે. ઈઝરાયલે વ્હાઈટ હાઉસને ઈરાન વિશે ઘણી વખત મિસાઈલ અને ક્યારેક સ્નાઈપર હુમલાની ચેતવણી આપી છે. હાલમાં જ આ સાથે જોડાયેલી એક ઘટના એવી પણ સામે આવી છે કે ટ્રમ્પને તુર્કિયેમાં ખતરાની ચેતવણી આપ્યા બાદ તેમને પ્લેન બદલીને અમેરિકા લઈ જવામાં આવ્યા હતા. જોકે, અમેરિકાને ઈઝરાયેલની દરેક વાત પર પૂરો ભરોસો નથી.
આ પહેલા ઈઝરાયેલે અમેરિકાને ચેતવણી આપી છે કે ઈરાન ડોનાલ્ડ ટ્રમ્પની હત્યા માટે અલગ-અલગ પ્રકારના કાવતરા ઘડી રહ્યું છે. ઈઝરાયેલના મતે ઈરાન ટ્રમ્પ પર સ્નાઈપર, ચાકુ કે મિસાઈલથી હુમલો કરી શકે છે. જો કે, અમેરિકન ગુપ્તચર એજન્સીઓ આ દાવાઓ અને ઈઝરાયેલની ગંભીર ચેતવણીઓ પર સંપૂર્ણ વિશ્વાસ કરવા સક્ષમ નથી. અમેરિકન અધિકારીઓને ટાંકીને રોઇટર્સના અહેવાલ મુજબ, એવું બહાર આવ્યું છે કે અમેરિકા સ્વતંત્ર રીતે આ ચેતવણીઓની ચકાસણી કરવામાં સક્ષમ નથી અને તેથી જ અમેરિકન ગુપ્તચર એજન્સી CIAને ઇઝરાયેલના ઇનપુટ પર ઓછો વિશ્વાસ છે.
ટ્રમ્પ તુર્કિયેથી છુપાઈને બહાર આવ્યા હતા
ઈઝરાયેલે જુલાઈમાં તુર્કિયેમાં યોજાયેલી નાટો સમિટ દરમિયાન સૌથી વધુ વિસ્ફોટક અને ભયાનક ચેતવણી આપી હતી. ઈઝરાયેલની જાસૂસી એજન્સીએ સીધો જ વ્હાઈટ હાઉસને એલર્ટ મોકલ્યો હતો કે જ્યારે ટ્રમ્પ તેમના પ્લેન એરફોર્સ વન પર ટેકઓફ કરશે ત્યારે ઈરાન તેમને શોલ્ડર મિસાઈલથી નિશાન બનાવી શકે છે.

