(એજન્સી)અમદાવાદ, નીટ પરીક્ષા પેપર લીક લઈને દેશભરમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. ત્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની અમદાવાદની મુલાકાત દરમિયાન વિરોધના દ્રશ્યો જોવા મળ્યા હતા.
એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શનની ચીમકી મળતા કેન્દ્રીય શિક્ષણમંત્રીની આ મુલાકાતને ગુપ્ત રાખવામાં આવી હતી તેમ છતાં પણ મંત્રીના કાફલા સામે પ્રદર્શન કરવા કાર્યકરોની પહોંચ્યા હતા. જેમની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
મહત્વનું છે કે કેન્દ્રીય શિક્ષણમંત્રીના કાર્યક્રમોની વિગતો સામાન્ય રીતે પહેલાથી જાહેર કરવામાં આવતી હોય છે. પરંતુ ગુપ્ત રીતે આયોજન કરવામાં આવ્યું હોવા છતાં કેન્દ્રીય શિક્ષણમંત્રીનો કાફલો આઈઆઈએમ અમદાવાદના ગેટ પરથી બહાર નીકળ્યો ત્યારે એનએસયુઆઈના કેટલાક કાર્યકર્તાઓ કાળા વાવટા અને કાળા કપડાં સાથે ધસી આવ્યા હતા અને ધર્મેન્દ્ર પ્રધાનનો વિરોધ કર્યો હતો.
ગુજરાત સહિત દેશભરમાં કોંગ્રેસની એનએસયુઆઈ પાંખ નીટની પરીક્ષાનું પેપર લીક થતાં કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રી સામે વિરોધ કરી રહી છે. એનએસયુઆઈના કાર્યકરોની માગ છે કે નૈતિક જવાબદારી સ્વીકારી શિક્ષણમંત્રીએ રાજીનામું આપવું જોઈએ. નીટ પેપર લીક કેસમાં અત્યાર સુધીમાં ૭ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેના તાર રાજસ્થાનથી માંડી મહારાષ્ટ્રના નાસિક અને હરિયાણાના ગુરુગ્રામ સુધી જોડાયેલા છે.
ભારત સરકારેહાલમાં અમલમાં મૂકેલા નવા કાયદા હેઠળ કાર્યવાહી થઈ રહી છે. આ કાયદામાં પેપર લીક કરનારાઓ માટે ૧૦ વર્ષ સુધીની જેલ અને ૧ કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે.

