નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીરને અલગ કરવાની બીજેપી નેતાની માંગ પર કહ્યું છે કે, આવું ક્યારેય ન થઈ શકે. તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર એકબીજાના અભિન્ન અંગો છે અને તેમને અલગ કરવાનો કોઈ વિચાર પણ કરી શકાય નહીં. ભાજપના ધારાસભ્ય શામ લાલ શર્માએ જમ્મુ-કાશ્મીરને અલગ કરવાની વાત કરી હતી. જ્યારે બીજેપીએ તેમના નિવેદનથી દૂરી લીધી છે. જમ્મુ-કાશ્મીર ભાજપના અધ્યક્ષ સત શર્માએ કહ્યું કે તેમના નિવેદન સાથે પાર્ટીને કોઈ લેવાદેવા નથી.
ભાજપના નેતાના આ નિવેદન અંગે ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે, જમ્મુ-કાશ્મીરને અલગ કરવું એ શરીરથી માથું અલગ કરવા જેવું હશે. જમ્મુ શરીરનું માથું છે અને કાશ્મીર તેનું ધડ છે. તેમણે કહ્યું કે લદ્દાખના લોકો પણ જમ્મુ-કાશ્મીર પરત ફરવા માંગે છે. તમને જણાવી દઈએ કે, 2019માં સરકારે કલમ 370 હટાવીને જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દીધો હતો. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને અલગ-અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યા હતા.
તાજેતરમાં ભાજપના ધારાસભ્ય શામ લાલ શર્માએ કહ્યું હતું કે જમ્મુ ક્ષેત્રના લોકો સાથે ભેદભાવ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં તેને કાશ્મીરથી અલગ કરવું જોઈએ. પાર્ટીએ પણ તેમના વિવાદાસ્પદ નિવેદનથી પોતાને દૂર રાખ્યા હતા.
કાશ્મીરી પંડિતો અલગ પ્રદેશની માંગ કરી રહ્યા છે
સમુદાય સામેની હિંસા અને તેના વિસ્થાપનને “નરસંહાર” તરીકે કાયદેસર રીતે જાહેર કરવાની તેમની માંગને પુનરાવર્તિત કરીને, કાશ્મીરી પંડિતોના સંગઠને કેન્દ્રના સીધા સમર્થન હેઠળ ખીણમાં એક અલગ પ્રદેશ બનાવવાની માંગ કરી છે.
વિસ્થાપિત કાશ્મીરી પંડિતોનું પ્રતિનિધિત્વ કરતી મુખ્ય સંસ્થા પનુન કાશ્મીરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધિત પાંચ પાનાના મેમોરેન્ડમમાં આ માંગણી કરી છે.

