ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે રશિયા પાસેથી તેલની ખરીદીનો બચાવ કરતાં યુરોપ સહિત પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો કર્યા હતા. જયશંકરે કહ્યું કે પશ્ચિમી દેશો ભારત વિરુદ્ધ રશિયા પાસેથી તેલ ખરીદે છે તેના વિરુદ્ધ પ્રચાર કરવાની સ્થિતિમાં નથી, કારણ કે યુરોપમાં બનેલા હથિયારોનો ઉપયોગ ભારત વિરુદ્ધ કરવામાં આવ્યો હતો. તે જ સમયે, ભારતે એવું કોઈ હથિયાર બનાવ્યું નથી જેનો ઉપયોગ પશ્ચિમી દેશો સામે કરવામાં આવે.
જયશંકરે ફિનલેન્ડની મુલાકાત દરમિયાન ‘કુલરંતા ટોક્સ’ ખાતે ‘ઉભરતી શક્તિઓ અને નવી જિયોપોલિટિકલ કોમ્પિટિશન’ પર ચર્ચામાં ભાગ લેતી વખતે રશિયા પાસેથી તેલની ખરીદી પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ભારતે ઓછી કિંમત અને ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. 2022 માં પણ, યુએસએ ભારતને તેલની ખરીદી ચાલુ રાખવા માટે પ્રોત્સાહિત કર્યું હતું, જેથી વૈશ્વિક બજાર સ્થિર રહે. જયશંકર પર એક પત્રકારે રશિયા-યુક્રેન યુદ્ધને લઈને રશિયા પ્રત્યે વધુ પડતી સહાનુભૂતિ દર્શાવવાનો અને રશિયા પાસેથી તેલ ખરીદવાનો આરોપ મૂક્યો હતો. જેના પર વિદેશ મંત્રીએ જવાબ આપ્યો અને બોલતી બંધ કરી દીધી.
જયશંકરે જવાબ આપ્યો કે 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત પછી, જ્યારે યુરોપિયન ગ્રાહકોએ મધ્ય પૂર્વમાં ભારતના પરંપરાગત સપ્લાયર્સ પાસેથી મોટા પાયે તેલ ખરીદવાનું શરૂ કર્યું, ત્યારે ભારત પાસે રશિયન તેલ ખરીદવા સિવાય બીજો કોઈ વિકલ્પ બચ્યો ન હતો. યુરોપની ટીકા કરતા જયશંકે કહ્યું કે યુરોપીયન દેશો દ્વારા ઉત્પાદિત અને વેચવામાં આવતા હથિયારો એવા દેશોના હાથમાં પહોંચ્યા, જેમણે તેનો ઉપયોગ ભારત વિરુદ્ધ કર્યો.

