સોમવારે કરવામાં આવેલી જાહેરાતમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના દેશની સાથે સાથે વેનેઝુએલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વેનેઝુએલા પાસેથી સંભવિત રીતે તેલ ખરીદવા માટે સંમત થયા છે. ટ્રમ્પનો સંદેશ યુક્રેન યુદ્ધ ખતમ કરવા માટે રશિયા પર દબાણ લાવવાની રણનીતિ તરફ ઈશારો કરી રહ્યો છે.
ટ્રમ્પે શું લખ્યું
ટ્રમ્પે લખ્યું, ‘આજે સવારે વડાપ્રધાન મોદી સાથે ચર્ચા કરવી સન્માનની વાત હતી. તે મારા શ્રેષ્ઠ મિત્રોમાંથી એક છે, તે શક્તિશાળી છે અને તેના દેશના આદરણીય નેતા છે. અમે વેપાર, રશિયા અને યુક્રેનને ખતમ કરવા સહિત અનેક મુદ્દાઓ પર વાત કરી. તેમણે રશિયન તેલ ખરીદવાનું બંધ કરવા અને યુએસ અને સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી વધુ તેલ ખરીદવા સંમત થયા છે.
ટ્રમ્પ પહેલેથી જ દાવો કરી ચૂક્યા છે
ફેબ્રુઆરીની શરૂઆતમાં જ એવો દાવો કરવામાં આવ્યો હતો કે ભારત હવે ઈરાનના બદલે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદશે. શનિવારે ફ્લોરિડાના પામ બીચની મુલાકાત વખતે ટ્રમ્પે કહ્યું હતું કે, ‘ચીનનું સ્વાગત છે અને તે તેલના મામલે મોટો સોદો કરી શકે છે. અમે ચીનને આવકારીએ છીએ. અમે પહેલેથી જ એક સોદો કર્યો છે. ભારત આવી રહ્યું છે અને ઈરાન પાસેથી તેલ ખરીદવાને બદલે તે વેનેઝુએલાનું તેલ ખરીદશે. અમે આ ડીલ કરી ચુક્યા છીએ, કમ સે કમ આ ડીલનો કોન્સેપ્ટ તો નક્કી થઈ ગયો છે.
ભારત ઈરાનનું મોટું ખરીદદાર રહ્યું છે
ભારત 2019 સુધી ઈરાની તેલનો મુખ્ય ખરીદદાર હતો, પરંતુ તેહરાન પર યુએસ પ્રતિબંધો ફરીથી લાદવામાં આવ્યા બાદ ભારતે ઈરાન પાસેથી તેલની આયાતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો.
પીએમ મોદી અને વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ વચ્ચે વાતચીત
વડાપ્રધાન મોદીએ શુક્રવારે વેનેઝુએલાના કાર્યવાહક રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બંને નેતાઓ વેપાર અને રોકાણ, ઉર્જા, ડિજિટલ ટેક્નોલોજી, આરોગ્ય, કૃષિ અને લોકો-થી-લોકોના સંપર્કો સહિત તમામ ક્ષેત્રોમાં ભારત-વેનેઝુએલા ભાગીદારીને વધુ મજબૂત કરવા સંમત થયા હતા.

