ટીમમાં સ્થાન ન મળતા ખેલાડીઓ નિરાશ થાય છે, પરંતુ પુડુચેરીમાંથી એક ખૂબ જ ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ખેલાડીઓએ પોતાની અને કોચની ગરિમાને બરબાદ કરી છે. ટીમમાંથી બહાર થયા બાદ કેટલાક ખેલાડીઓએ મળીને કોચને માર માર્યો હતો. આ મામલો પુડુચેરી ક્રિકેટ એસોસિએશન સાથે સંબંધિત છે, જ્યાં અંડર 19 ટીમના કોચને 20 ટાંકા આવ્યા છે અને તેના ખભામાં ફ્રેક્ચર પણ છે.
ચોંકાવનારી વાત એ છે કે અંડર-19ના મુખ્ય કોચ એસ વેંકટરામન પર ક્રિકેટ એસોસિએશન ઑફ પુડુચેરી એટલે કે CAPની ટ્રેનિંગ ફેસિલિટીની અંદર ત્રણ સ્થાનિક ક્રિકેટરોએ કથિત રીતે હુમલો કર્યો હતો. સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માટે ટીમમાંથી બહાર કરવામાં આવતા આ ક્રિકેટરો ગુસ્સે હતા. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ખેલાડીઓએ કોચને માર માર્યો હતો. આ હુમલામાં કોચ ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ મામલા બાદ પુડુચેરીનું ક્રિકેટ એસોસિએશન ફરી એક વખત શંકાના દાયરામાં આવ્યું છે. સબ-ઇન્સ્પેક્ટર એસ રાજેશે હુમલાની ગંભીરતાની પુષ્ટિ કરી. તેમણે કહ્યું, “વેંકટરામનને કપાળ પર 20 ટાંકા આવ્યા છે, પરંતુ તેમની હાલત હવે સ્થિર છે. આરોપી ખેલાડીઓ ફરાર છે અને અમે તેમને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. વધુ વિગતો સમયસર આપવામાં આવશે.”
વેંકટરામને તેની પોલીસ ફરિયાદમાં ત્રણ સ્થાનિક ખેલાડીઓ-વરિષ્ઠ ક્રિકેટર કાર્તિકેયન જયસુંદરમ અને ફર્સ્ટ-ક્લાસ પ્લેયર એ અરવિન્દ્રરાજ અને એસ સંતોષ કુમારનને હુમલાખોરો તરીકે નામ આપ્યા હતા. તેણે ભારતીદાસન પુડુચેરી ક્રિકેટર્સ ફોરમના સેક્રેટરી જી ચંદ્રન પર ત્રણેયને ઉશ્કેરવાનો આરોપ પણ મૂક્યો હતો. જોકે પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી.
આ મામલા પછી તે મુદ્દો પણ ઉથલપાથલ થઈ ગયો છે, જેમાં પુડુચેરીના ક્રિકેટરોને ઓછી તક મળી રહી હતી અને બહારના ખેલાડીઓને વધુ તક મળી રહી હતી. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે 2021થી રણજી ટ્રોફી ટીમમાં પુડુચેરીના માત્ર 5 ક્રિકેટરો રમ્યા છે. ફરિયાદ બીસીસીઆઈ સુધી પહોંચી છે, જેની બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવશે. CAP એ હુમલા અંગે ટિપ્પણી કરી ન હતી.

