અજિત પવારના નિધન બાદ તેમની પત્ની સુનેત્રા પવારે શનિવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ પછી એનસીપી અને એનસીપી (શરદ પવાર)ના વિલીનીકરણની ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે એનસીપીના નેતાઓએ આ અંગે મૌન જાળવી રાખ્યું છે. જ્યારે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે તેમને નજીકના ભવિષ્યમાં આવું થવાની કોઈ આશા નથી.
બીજી બાજુ, એનસીપી (એસપી) નેતાઓએ દાવો કર્યો હતો કે અજિત પવાર બે જૂથોને મર્જ કરવા માગે છે પરંતુ પાર્ટીના વડા શરદ પવારે સ્વીકાર્યું કે હવે પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે. એનસીપીના એક જૂથનું નેતૃત્વ અજિત પવાર કરી રહ્યા છે અને બીજા જૂથનું નેતૃત્વ તેમના કાકા શરદ પવાર કરી રહ્યા છે. અજિત પવારનું બે દિવસ પહેલા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું.
કેન્દ્રીય મંત્રી ગોયલે કહ્યું કે મહારાષ્ટ્રમાં ‘મહાયુતિ’ સરકારના ભાગરૂપે NCPએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે. એનસીપીના બે જૂથોના વિલીનીકરણની ચર્ચા અંગેના પ્રશ્નના જવાબમાં, તેમણે કહ્યું કે, “વ્યક્તિગત રીતે મને એવું થતું દેખાતું નથી.” તેમણે કહ્યું કે એનસીપીનું નેતૃત્વ “પહેલા અજિત પવાર પાસે હતું અને હવે સુનેત્રા પવારજી પાસે.”
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પ્રફુલ પટેલને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ નિયુક્ત કરવામાં આવ્યા છે. “મને નથી લાગતું કે શરદ પવારને NCPમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવશે કારણ કે તેમણે જનતાનો વિશ્વાસ ગુમાવ્યો છે,” તેમણે કહ્યું.
મુંબઈમાં એનસીપીના નેતાઓ પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેએ આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. સુનેત્રા પવારના શપથ ગ્રહણ સમારોહ પહેલા એક ઉચ્ચ સ્તરીય બેઠકમાંથી બહાર આવતાં તટકરેએ કહ્યું હતું કે, “અમારી પાસે અત્યારે આ બાબતે કહેવા માટે કંઈ નથી.”

