સરદાર પટેલના યુગમાં “સેવાલક્ષી રાજધર્મ” ચાલતો હતો ત્યારે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં એક રાજનિતિ ચાલતી હતી ! આજે પ્રજા બે ધ્રુવ વચ્ચે વહેંચાઈ ગઈ છે તેને એક કરવાની રાજનિતિ પૂનઃજીવીત કોણ કરશે ?!
ખાડીયામાંથી પેનલમાં ત્રણ હિન્દુઓ અને એક મુસ્લિમ જીત્યા ! દરિયાપુરમાંથી બે હિન્દુ અને બે મુસ્લિમો જીત્યા ! પ્રજાની વિચારવાની દિશા બદલાઈ રહી છે ?!
અમેરિકાના અતિ ખ્યાતનામ ન્યાયવિદ્દ જસ્ટીસ હોમ્સ કહે છે કે, “બંધારણના અને સિધ્ધાંતોમાં જે કોઈપણ એક સિધ્ધાંત અનિવાર્યપણે ધ્યાન ખેંચતો હોય તો તે છે મુકત વિચારનો સિધ્ધાંત જેઓ આપણી સાથે સહમત છે, તેમને માટે મુકત વિચાર એમ નહીં, પણ જે વિચાર પ્રત્યે આપણને નફરત છે તેને માટે સ્વાતંત્ર્ય”!!
જયારે મહાત્મા ગાંધી કહે છે કે, “જયાં ભુલો કરવાની આઝાદી ન હોય એવી સ્વતંત્રતા કોઈ કામની નથી”!! ગુજરાતમાં તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની જેમાં જીલ્લા પંચાયતની, તાલુકા પંચાયતોની તથા મહાનગર પાલિકાઓની ચૂંટણીઓ યોજાઈ ગઈ ! ગુજરાતમાં મુકત અને ન્યાયી ચૂંટણી તો થઈ પણ રાજકીય નૈતિકતાના અદ્યઃપતનનો માહોલ રચાયો ! અને મતદારો ઉદાસીન રહ્યા ત્યારે લોકશાહી મૂલ્યોનું પોસ્ટમોર્ટમ જરૂરી બન્યું છે ?!
સરદાર વલ્લભભાઈ પટેલના દ્રષ્ટિકોણ વાળુ ભારત અને સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ વાળુ ગુજરાત કયાં ખોવાઈ ગયું છે ?! આઝાદ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને દેશના પ્રથમ ગૃહમંત્રીશ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ગુજરાત જન્મભૂમિ અને કાર્યભૂમી છે ! વર્ષ ૧૯૧૨ માં શ્રી વલ્લભભાઈ પટેલ પ્રથમ નંબરે બેરિસ્ટરની પરીક્ષા પાસ કરી હતી ! અને અમદાવાદમાં વકીલાત શરૂ કરી હતી !
સામાજિક કાર્યાેમાં અગ્રેસર હતાં ! અને નગરપાલિકાના તટસ્થ વહીવટ માટે અભૂતપૂર્વ પુરૂષાર્થ કરેલો છે ! વર્ષ૧૯૧૭ માં તેઓ મહાત્મા ગાંધીના અનુયાયી બન્યા વર્ષ ૧૯૨૧ માં ભરૂચમાં ગુજરાત રાજકીય પરિષદનું અધિવેશન સરદાર પટેલની અધ્યક્ષતામાં મળ્યુ હતું ! જેમાં સરદાર વલ્લભભાઈ પટેલે કોમી એકતા, દારૂબંધી, સ્વદેશી ભાવના, અસ્પૃષ્યતા નિવારણ પર તેમણે સચોટ અને સ્પષ્ટ રજૂઆત કરી હતી !
ખેડા જીલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલ નુકશાનને કારણે પાક ઓછો થતાં મહેસૂલ માફીની માંગણી માટે ગુજરાતમાં છ મહિના સુધી સત્યાગ્રહ કર્યાે ! ત્યારે સરકારે મહેસૂલ માફીનું સમાધાન કર્યુ ! વર્ષ ૧૯૨૨ થી તેઓ ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમોમાં જોડાયા ! ગુજરાત વિદ્યાપીઠનું મકાન બાંધવા મોટું ભંડોળ ઉભુ કર્યુ હતું ! વર્ષ ૧૯૨૭ માં બ્રિટીશ સરકારે કરેલા મહેસૂલ વધારા સામે આઠ માસ સુધી સત્યાગ્રહ કરતા બ્રિટીશ સરકારે ઝુકવું પડયું અને ત્યારે લોકોએ જ સરદાર વલ્લભભાઈ પટલને “સરદાર” નું બિરૂદ આપ્યું !
ત્યારથી સરદાર પટેલ તરીકે સમગ્ર ભારત તેમને ઓળખે છે ! સરદાર વલ્લભભાઈ પટેલ વર્ષ ૧૯૩૮ માં રાજકોટ સત્યાગ્રહનો પ્રારંભ કર્યાે ! વર્ષ ૧૯૩૯ માં વડોદરા રાજય પ્રજા મંડળને તેની ન્યાયી લડતમાં માર્ગદર્શન આપ્યું ! આ ઉપરાંત ભાવનગર જેવા દેશી રાજયોમાં પ્રજા પરિષદનું નેતૃત્વ કર્યુ !!
વર્ષ ૧૯૪૨ માં કોંગ્રેસની હિન્દ છોડોની ચળવળમાં જોડાયા – નેતૃત્વ કર્યુ ! તેમની ધરપકડ થઈ ! વર્ષ ૧૯૪૫ સુધી જેલવાસ ભોગવ્યો !વર્ષ ૧૯૪૭ માં દેશ આઝાદ થયો ! ૫૬૨ રજવાડા એક કર્યા ! તેઓ કોંગ્રેસ ઉમેદવાર તરીકે સંસદમાં ચૂંટાયા ! નાયબ વડાપ્રધાન બન્યા ! દેશના પ્રથમ ગૃહપ્રધાન બન્યા ! તેઓએ ગૃહપ્રધાન તરીકે દેશમાં એકતા અને અખંડિતતા માટે પ્રચાર અને પ્રસાર કર્યાે તેઓ ગાંધીવાદી બિનસાંપ્રદાયિકતા, અહિંસા અને રાજકીય નૈતિકતાના પ્રખર પ્રહરી હતાં !
તેઓની રાજનિતિ સેવાની અને મૂલ્યનિષ્ઠાની રાજનિતિ હતી ! “સત્તા કે લીયે કુછ ભી કરેગા”! એવા રાજનેતા નહોતા ! ફકત નૈતિકતાની વાત નહોતા કરતા રાજકારણને બંધારણવાદની ભાવનાઓ સાથે જોડી બતાવ્યું હતું વિકટ પરિસ્થિતિમાં દેશ સંભાળ્યો હતો ! તા. ૧૫-૧૨-૧૯૫૦ ના રોજ હૃદય રોગના હુમલાથી તેઓનું અવસાન થયું હતું ! આજે ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં ખુલ્લેઆમ લુંટફાટ થાય છે, ગુન્હાખોરી વધી છે !
ભ્રષ્ટાચાર, દુરાચાર વધ્યો છે અને મતદારોની ઉદાસીનતા વધી છે ! ત્યારે આજે લોહપુરૂષ, રાજકીય નૈતિકતાના પ્રહરી, બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોના રખેવાળ તથા સત્તા નહીં સેવા માટે ગુજરાતને કર્મભૂમિ બનાવનાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ખોટ સાલી રહી છે ! ગુજરાત સરદારના અનુયાયીની શોધ કરશે ?! દેશમાં રેવડીનું રાજકારણ કોણ સમાપ્ત કરશે ?!

