ગાંધીનગરઃ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાવાઝોડાની સંભવિત અસરોના સમાચારની વચ્ચે માનવતાની મ્હેંક પ્રસરાવતા સમાચાર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાંથી આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં સતત બે અંગદાન થયા છે. જેના થકી 6 જરૂરિયાતમંદ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 27 ડિસેમ્બર 2020થી અંગદાનની સેવાકીય પ્રવૃતિની શરૂઆત થઇ હતી. જેમાં અઢી વર્ષમાં 100 લીવર અને 200 કિડનીનું દાન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 116 જેટલા અંગદાતાઓના અંગદાન થી 350 વ્યક્તિઓને નવજીવન મળ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મળેલા 374 અંગોમાં 100 લીવર, 200 કિડની, 9 સ્વાદુપિંડ, 33 હ્રદય, 6 હાથ, 24 ફેફસા અને બે નાના આંતરડાનો સમાવેશ થાય છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસમાં થયેલ અંગદાનની વિગતો જોઇએ તો 14 જુને અમદાવાદના ધોળકામાં રહેતા દિપકભાઇ રાણા 24 કલાકની સધન સારવારના અંતે બ્રેઇનડેડ થતા તેમના પરિવારજનોએ અંગદાનનો નિર્ણય કર્યો હતો. તેઓને માથાના ભાગમાં ગંભીર ઇજા થતા અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલના તબીબો દ્વારા દિપકભાઇને બ્રેઇનડેડ જાહેર કરાતા પરિવારજનોએ અંગદાનની સંમતિ આપી.