ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ કેન્દ્રીય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલા અને ગુજરાતના પશુપાલન મંત્રી રાઘવજી પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે વર્ષ 2023નો “શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર” વિતરણ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન રાજ્ય કક્ષાના અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ પશુપાલકોને ઈનામ અને પ્રમાણપત્રો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ ભારત સરકાર પુરસ્કૃત ૨૫ મોબાઈલ વેટરનરી યુનિટ (ફરતા પશુ દવાખાના)નું લોકાર્પણ કરી તેને પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીએ ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના હેઠળના 20 નવનિર્મિત ઉપકેન્દ્રોનું ઇ-લોકાર્પણ પણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, ભારતની વિકાસ પરંપરામાં પર્યાવરણ અને પશુધનનું આગવું મહત્વ રહ્યું છે. ભારતીય પરંપરામાં આર્થિક ક્ષેત્રે પણ પ્રકૃતિ અને પશુધનનો ખાસ વિચાર કરવામાં આવ્યો છે. આ જ કારણે વડાપ્રધાનએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને પશુપાલનને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને પ્રકૃતિ સાથે પ્રગતિના સમન્વયની દિશા દર્શાવી છે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, ખેતી અને પશુપાલન બંન્ને એકબીજાના પૂરક વ્યવસાય અને ગ્રામીણ અર્થતંત્રના વિકાસમાં મહત્વના પરિબળ છે. વડાપ્રધાનએ રાસાયણિક ખાતરથી મુક્ત સ્વાસ્થ્ય-વર્ધક ખેતી માટે બેક ટુ બેઝિક્સનો મંત્ર આપી પ્રાકૃતિક ખેતી-ગાય આધારિત ખેતીની પ્રેરણા આપી છે. આ ગાય આધારિત ખેતી પણ પશુપાલન વ્યવસાયને નવું બળ આપનારી બની છે.