(GNS),તા.28
ગાંધીનગર,
ગાંધીનગરના સેક્ટર 12માં આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ભવનનું રૂ.1,49,31,947ના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ બિલ્ડીંગને સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાના હસ્તે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન જિલ્લાની સામાજિક ન્યાય પ્રવૃતિઓનું મુખ્ય કેન્દ્ર બને અને સમાજના નબળા વર્ગના લોકો માટે તેમના સામાજિક, સાંસ્કૃતિક અને જાહેર કાર્યક્રમો માટે ઉપયોગી બને તે હેતુથી જિલ્લા વર્ગખંડની સ્થાપના ડૉ. આંબેડકર ભવન બનાવવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી. હાલમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા કુલ 25 જિલ્લામાં આંબેડકર ભવનોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ઇમારત કુલ 3000 ચોરસ મીટર જમીનમાં બનાવવામાં આવી છે. જેમાં 284 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતો વાતાનુકૂલિત ઓડિટોરિયમ હોલ, 25 વ્યક્તિની બેઠક ક્ષમતા ધરાવતો કમિટી રૂમ, લાયબ્રેરી, કમિટી રૂમ, વિઝિટર વિંગ, મ્યુઝિયમ રૂમ, ગ્રીન રૂમ, તેમજ ઓફિસ અને આગળ બગીચો બનાવવામાં આવ્યો છે.
આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર શ્રી હિતેશભાઈ મકવાણા, ધારાસભ્ય શ્રી રીટાબેન પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી શિલ્પાબેન પટેલ તથા વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.