નવી દિલ્હી: મનરેગામાં લાગેલા મજૂરો માટે કેન્દ્ર સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાયદા હેઠળ સમાવિષ્ટ કામદારો માટે નવા વેતન દરો જાહેર કર્યા છે.
નવા દરો અનુસાર હવે દરેક રાજ્યમાં કામદારોને વધુ વેતન મળશે. તમને જણાવી દઈએ કે ગોવામાં સૌથી વધુ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો છે. ગોવામાં સૌથી વધુ 10.56 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં માત્ર 3.04 ટકાનો વધારો થયો છે.
નવા દર શું છે?
ગોવામાં કામદારોને રોજના 322 રૂપિયા મળતા હતા જે હવે વધીને 356 રૂપિયા થઈ ગયા છે.
કર્ણાટકમાં મનરેગાનો દર અગાઉ રૂ. 316 પ્રતિ દિવસ હતો તે વધારીને રૂ. 349 કરવામાં આવ્યો છે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં મનરેગા કામદારોનો દૈનિક દર 221 રૂપિયાથી વધીને 243 રૂપિયા પ્રતિ દિવસ થયો છે.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં સમાવિષ્ટ કામદારોનું દૈનિક વેતન 230 રૂપિયાથી વધીને 237 રૂપિયા થઈ ગયું છે.
હરિયાણા, આસામ, મણિપુર, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, રાજસ્થાન, કેરળ અને લક્ષદ્વીપમાં મનરેગાના મજૂરોના દરમાં 7 ટકાનો વધારો થયો છે. હવે તેમનું દૈનિક વેતન રૂ. 267.32 થી વધીને રૂ. 285.47 થઇ ગયું છે.
કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ અનુસાર, જાન્યુઆરી 2024 સુધીમાં મનરેગામાં 14.28 કરોડ સક્રિય કામદારો છે.
મનરેગાનું બજેટ વધ્યું
1 ફેબ્રુઆરી, 2024 ના રોજ, નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં તેમણે મનરેગાનું બજેટ વધારવાની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2023-24માં મનરેગાનું બજેટ અંદાજે રૂ. 60,000 કરોડ હતું, જે નાણાકીય વર્ષ 2024-25 માટે વધારીને રૂ. 86,000 કરોડ કરવામાં આવ્યું છે.