લોકલ ડેસ્કઃ પૌરાણિક યાત્રાધામ ડાકોરમાં દિવસેને દિવસે તસ્કરોનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસની અવગણના કરીને તસ્કરો એક પછી એક લૂંટને અંજામ આપી રહ્યા છે. એક પછી એક ચોરીની ઘટનાઓ બાદ પોલીસ પેટ્રોલીંગ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ડાકોરમાં આવેલ કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં મોડી રાત્રે તસ્કરોએ એકસાથે ત્રણ દુકાનોના તાળા તોડી રોકડ સહિત કિંમતી સામાનની ચોરી કરી જતા ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિક લોકોએ પેટ્રોલિંગના અભાવની ફરિયાદ પણ કરી છે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ડાકોર-ઉમરેઠ રોડ પર આવેલી વૃંદાવન વિલા સોસાયટી પાસે આવેલી કોમર્શિયલ જગ્યામાં ગત મોડીરાત્રે તસ્કરોએ ત્રણ અલગ-અલગ દુકાનોના તાળાં તોડી ચોરીની ઘટનાને અંજામ આપતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ડાકોરમાં ચોરીના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે અને તસ્કરો પોલીસની ઊંઘ હરામ કરી રહ્યા છે.
આજે સવારે દુકાન માલિક દુકાન ખોલવા આવ્યા ત્યારે દુકાનના તાળા તૂટેલા જોતા અજાણ્યા તસ્કરો રોકડ સહિત કિંમતી સામાનની ચોરી કરી નાસી છૂટ્યા હતા. સમગ્ર ઘટનાની જાણ ડાકોર પોલીસને કરાતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.