પાકિસ્તાન પોલીસ સ્ટેશન પર હુમલો: પાકિસ્તાનના અશાંત ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગઈ કાલે એક પોલીસ સ્ટેશન પર થયેલા આત્મઘાતી હુમલામાં આઠ પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને 40 થી વધુ ઘાયલ થયા. અધિકારીઓએ આ ઘટનાની જાણકારી આપી હતી. આ બ્લાસ્ટ સ્વાત ઘાટીના કબાલ પોલીસ સ્ટેશનમાં થયો હતો. પોલીસ સ્ટેશન પરિસરમાં આતંકવાદ વિરોધી વિભાગ અને મસ્જિદ પણ છે. ખૈબર પખ્તુનખ્વા (કેપી) પોલીસ મહાનિરીક્ષક અખ્તર હયાત ખાને કહ્યું કે સુરક્ષા અધિકારીઓ સમગ્ર પ્રાંતમાં હાઈ એલર્ટ પર છે.
12 લોકોના મોત, 40 થી વધુ લોકો ઘાયલ થયા
ડૉન અખબારે પોલીસને ટાંકીને જણાવ્યું હતું કે, ગઈ કાલે સ્વાતના કબાલમાં કાઉન્ટર ટેરરિઝમ ડિપાર્ટમેન્ટ (CTD) પોલીસ સ્ટેશન પર થયેલા શંકાસ્પદ આત્મઘાતી હુમલામાં આઠ પોલીસકર્મીઓ સહિત ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા અને 40 થી વધુ ઘાયલ થયા હતા. હુમલાની જવાબદારી તાત્કાલિક કોઈએ લીધી નથી. જો કે, તાજેતરના મહિનાઓમાં પાકિસ્તાની તાલિબાને સરકાર સાથે યુદ્ધવિરામ સમાપ્ત કર્યા પછી સમાન હુમલાઓનો દાવો કર્યો છે. રિપોર્ટ અનુસાર, આ જીવલેણ હુમલો રાત્રે 8:20 વાગ્યે થયો હતો.
હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે
અગાઉ જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) શફી ઉલ્લાહ ગાંડાપુરે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનની અંદર બે વિસ્ફોટ થયા હતા, જેનાથી ઈમારત ધ્વસ્ત થઈ ગઈ હતી, જિયો ન્યૂઝે અહેવાલ આપ્યો હતો. પોલીસે જણાવ્યું કે કાટમાળ નીચે ઘણા લોકો દટાયા છે. જ્યારે ઘાયલોને સૈદુ શરીફ ટીચિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ દરમિયાન નજીકની તમામ હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે વિસ્ફોટની નિંદા કરી હતી
ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે વિસ્ફોટની નિંદા કરી હતી અને જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું- ટૂંક સમયમાં જ આતંકવાદને જડમૂળથી ઉખાડી નાખવામાં આવશે. રેડિયો પાકિસ્તાને અહેવાલ આપ્યો છે કે કેપીના કાર્યકારી મુખ્ય પ્રધાન મુહમ્મદ આઝમ ખાને પણ વિસ્ફોટની સખત નિંદા કરી છે અને સંબંધિત અધિકારીઓને બચાવ અને રાહત કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે.