પાલનપુરનો પરિવાર રવિવારે સાંજે રાજસ્થાનના સુંધામાતાના દર્શન કરીને પરત પાલનપુર આવી રહ્યા હતા ત્યારે મેપમાં દર્શાવ્યા મુજબ રાનીવાડા નજીક શોર્ટકટ રસ્તો હોઈ એ બાજુ આગળ વધ્યા પરંતુ ત્યાં પાણીના વહેણમાં કાર તણાવા લાગી, વહેણના ધસમસતા પુરમાં પાણીનો પ્રવાહ સતત વધવા લાગ્યો. દરમિયાન ગ્રામજનો આવી ગયા. પરિવારના સભ્યો જેમ તેમ કરીને ગામલોકોની મદદથી કિનારે આવી ગયા. અને કાર ત્યાં જ છોડી દીધી. ડીસાથી સગા વ્હાલાઓને બોલાવી કારમાં પાલનપુર પરત આવ્યા. ઘરે આવતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. બીજા દિવસે અમે ફરી ત્યાં જઈ અને જીસીબીથી કારને બહાર કાઢી બે કલાક જેટલો સમય લાગી ગયો. ગામ લોકો સાથે વાત કરતા ખબર પડી કે આજુબાજુના ખેતરોના ઢોળાવ વાળું તમામ પાણી અહીંથી પૂરની જેમ પસાર થાય છે. 2017 માં એક સ્કોર્પિયો આ વ્હોળામાં તણાઈ હતી જેના ચાલકની લાશ સપ્તાહ બાદ અને સ્કોર્પિયો 15 દિવસે જમીનમાં 3 ફૂટ નીચેથી મળી હતી. આ અત્યંત જોખમી વ્હોળો હોવાનું અને જ્યારે જ્યારે ભારે વરસાદ થાય છે ત્યારે થોડીવાર માટે પૂરની જેમ પાણી અહીંથી પસાર થતું હોવાનું જણાવ્યું હતું.