વારાણસી,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં સંત ગુરુ રવિદાસની 647મી જન્મજયંતી પર સંબોધન કર્યું હતું. બીએચયુ નજીક સીર ગોવર્ધનપુર ખાતે સંત ગુરુ રવિદાસ જન્મસ્થળી મંદિરમાં પ્રધાનમંત્રીએ નજીકમાં રવિદાસ પાર્ક ખાતે સંત રવિદાસની નવી સ્થાપિત પ્રતિમાનું ઉદઘાટન કર્યું હતું. તેમણે સંત રવિદાસ જન્મસ્થળીની આસપાસ આશરે 32 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું અને સંત રવિદાસ મ્યુઝિયમ અને આશરે 62 કરોડ રૂપિયાના ઉદ્યાનના બ્યુટીફિકેશન માટે શિલાન્યાસ કર્યો હતો.
જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ સંત રવિદાસજીની 647મી જન્મજયંતી પર તેમના જન્મસ્થળ પર સૌને આવકાર્યા હતા. સમગ્ર દેશમાંથી શ્રદ્ધાળુઓની ભાગીદારીની નોંધ લઈને પ્રધાનમંત્રીએ ખાસ કરીને પંજાબથી કાશીમાં આવનારા લોકોની ભાવનાની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, કાશી હવે એક નાનકડા પંજાબ જેવું લાગવા માંડ્યું છે. પ્રધાનમંત્રીએ સંત રવિદાસજીના જન્મસ્થળની પુનઃ મુલાકાત લેવા બદલ તથા તેમના આદર્શો અને સંકલ્પને આગળ ધપાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ એ બાબતે ખુશી વ્યક્ત કરી હતી કે, કાશીના પ્રતિનિધિ તરીકે તેમને સંત રવિદાસજીના અનુયાયીઓની સેવા કરવાની તક મળી છે. પ્રધાનમંત્રીએ સંત રવિદાસજીની જન્મભૂમિને અપગ્રેડ કરવા માટેની યોજનાઓનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં મંદિર વિસ્તારનો વિકાસ, એપ્રોચ રોડનું નિર્માણ, પૂજા-અર્ચના, પ્રસાદ વગેરે સામેલ છે. પ્રધાનમંત્રીએ સંત રવિદાસની નવી પ્રતિમા વિશે પણ વાત કરી હતી અને સંત રવિદાસ સંગ્રહાલયનો શિલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે મહાન સંત અને સમાજ સુધારક ગાડગે બાબાની જન્મજયંતી પણ છે તથા વંચિતો અને ગરીબોનાં ઉત્થાનમાં તેમનાં યોગદાન પર પ્રકાશ પાડ્યો હતો. પીએમ મોદીએ માહિતી આપી કે બાબા સાહેબ આંબેડકર ગડગે બાબાના કામના બહુ મોટા પ્રશંસક હતા અને ગાડગે બાબા પણ બાબા સાહેબથી પ્રભાવિત હતા. પ્રધાનમંત્રીએ ગાડગે બાબાને તેમની જન્મજયંતી પર નમન પણ કર્યા હતા.
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, સંત રવિદાસનાં ઉપદેશોએ તેમને હંમેશા માર્ગદર્શન આપ્યું છે અને તેમણે સંત રવિદાસનાં આદર્શોની સેવા કરવાની સ્થિતિમાં હોવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે તાજેતરમાં મધ્યપ્રદેશમાં સંત રવિદાસ સ્મારકનાં શિલારોપણનો ઉલ્લેખ કર્યો હતો.