દેશના જાણીતા રિયલ એસ્ટેટ બિઝનેસમેન નિરંજન હિરાનંદાનીના પુત્ર દર્શન હિરાનંદાની અને તૃણમૂલ કોંગ્રેસના નેતા મહુઆ મોઇત્રાને સંડોવતા “પ્રશ્નો પુછવા માટે ભેટ-રોકડ” ના વિવાદમાં સરકારી સાક્ષી બન્યા છે. દર્શન હિરાનંદાનીએ સ્વીકાર કર્યો છે કે તેણે કેન્દ્ર સરકારને સંસદમાં પ્રશ્નો પૂછવા માટે સાંસદના સંસદીય લોગઈનનો ઉપયોગ કર્યો હતો. આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ, તાજેતરમાં જ ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ, લોકસભાના સ્પીકર ઓમ બિરલાને, સાંસદ મહુવા મોઇત્રા વિરુદ્ધ સંસદીય વિશેષાધિકારના ભંગના ગંભીર આરોપો સાથે ફરિયાદ કરી હતી. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ માટે એક કમિટી બનાવવાની પણ માંગ કરી હતી. સાથોસાથ સંસદીય વિશેષાધિકારના ભંગ બદલ મહુઆ મોઇત્રાને સંસદમાંથી તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી..
નિશિકાંત દુબેએ કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને મોઈત્રાના “લોકસભા લૉગઈન ઓળખપત્ર”નું “આઈપી એડ્રેસ” પણ ચેક કરવા વિનંતી કરી છે. એક એફિડેવિટમાં, રિયલ એસ્ટેટ બિઝનેસમેન દર્શન હિરાનંદાનીએ જણાવ્યું હતું કે, તેઓ મહુઆ મોઇત્રાને અનેક પ્રસંગોએ મળ્યા હતા અને તેઓ અવારનવાર એકબીજા સાથે વાત કરતા હતા. જેમાં સાપ્તાહિકથી લઈને રોજબરોજના કૉલ્સનો પણ સમાવેશ થતો હતો. તેમણે કહ્યું કે મહુવા મોઈત્રાએ તેમના સાંસદનું ઈમેલ આઈડી પોતાની સાથે શેર કર્યું હતું, જેથી તેઓ તેમને માહિતી મોકલી શકે અને તેઓ સંસદમાં પ્રશ્નો પૂછી શકે. “હું તેમની દરખાસ્ત સાથે ગયો… મારી સાથે કેટલીક માહિતી શેર કરવામાં આવી હતી, જેના આધારે મેં જરૂર પડ્યે તેમના સંસદીય લૉગઈનનો ઉપયોગ કરીને પ્રશ્નોનો મુસદ્દો અને પોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું હતું”..
દર્શન હિરાનંદાનીએ એફિડેવિટમાં એવો પણ દાવો કર્યો હતો કે, ટીએમસી નેતાએ તેમની પાસે વિવિધ પ્રકારની મદદ માંગી હતી. તેણે કહ્યું, “ઘણી વખત મને લાગ્યું કે તે મારો અયોગ્ય ફાયદો ઉઠાવી રહી છે અને મારા પર એવા કામ કરવા માટે દબાણ કરી રહી છે, જે હું કરવા માંગતો ના હતો, પરંતુ ઉપરોક્ત કારણોને લીધે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો.” જો કે, મહુઆ મોઇત્રાએ ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે સરકારે દર્શન હિરાનંદાનીના લમણા પર બંદૂક રાખી છે અને તેમનો રિયલ એસ્ટેટનો વ્યવસાય બંધ કરાવી દેવાની ધમકી આપી છે. મહુઆ મોઇત્રાએ કહ્યું કે, તેમને સીબીઆઈ કે સંસદની એથિક્સ કમિટીએ હજુ સુધી બોલાવ્યા નથી. વડાપ્રધાન મોદીએ દર્શન હિરાનંદાનીનો અને તેમના પિતા નિરંજન હિરાનંદાનીનો રિયલ એસ્ટેટનો બિઝનેસ બંધ કરાવી દેવાની ધમકી આપી છે. દરેક રાજ્યમાં હિરાનંદાનીનું રિયલ એસ્ટેટ ક્ષેત્રે મોટું રોકાણ છે. ભાજપ મને ગમે તે ભોગે ભીડવવા માંગે છે, તેથી હિરાનંદાની પિતા પૂત્રને આવું કરવાની ફરજ પડી હતી.