ફેઝ 2A કોરિડોરમાં આવનારા સ્ટેશનો: આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ
નવી દિલ્હી, ૧૦ જૂન, 2026, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ ૨(એ) (Phase 2(A)) ને મંજૂરી આપી દીધી છે. આ નવો કોરિડોર ૬.૦૩૨ કિમી લાંબો હશે અને તેમાં પાંચ સ્ટેશનો બનાવવામાં આવશે, જેમાંથી ચાર એલિવેટેડ (ઊંચા) અને એક અંડરગ્રાઉન્ડ (ભૂગર્ભ) હશે.
કેબિનેટની સત્તાવાર યાદી અનુસાર, ફેઝ ૨(એ) કોરિડોરમાં આવનારા સ્ટેશનોના નામ આશ્રમ રોડ, કોટેશ્વર પ્રાચીન મંદિર, સાબરમતી રિવર, સરદાર નગર અને એરપોર્ટ છે. બાંધકામ દરમિયાન લાગનારા વ્યાજ સહિત આ પ્રોજેક્ટનો કુલ અંદાજિત ખર્ચ ₹૨,૧૬૯.૦૪ કરોડ થશે.
ફેઝ ૨(એ) શરૂ થવાની સાથે જ અમદાવાદ-ગાંધીનગરમાં કુલ ૭૭.૬૩ કિમીનું સક્રિય (એક્ટિવ) મેટ્રો રેલ નેટવર્ક થઈ જશે. આ પ્રોજેક્ટ શહેરમાં મેટ્રો રેલ નેટવર્કનો એક મોટો વિસ્તાર દર્શાવે છે. ૬.૦૩૨ કિમીના નવા મેટ્રો કોરિડોરના વિકાસથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં મોટો સુધારો થશે, કારણ કે તે એરપોર્ટ સુધી સીધી કનેક્ટિવિટી આપશે અને એવા મહત્વના રહેણાંક અને વ્યાપારી વિસ્તારોને જોડશે જ્યાં હાલમાં ટ્રાન્સપોર્ટની પૂરતી સુવિધા નથી.
સરકારી નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ‘વર્લ્ડ પોલીસ ગેમ્સ ૨૦૨૯’ અને ‘કોમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦’ માટે આ વિસ્તારની આસપાસ રમતગમતની સુવિધાઓ વિકસાવવામાં આવે તેવી પણ શક્યતા છે.
અમદાવાદ મેટ્રો ફેઝ ૨(એ) ના બાંધકામની મુખ્ય પ્રક્રિયા (પીક પીરિયડ) દરમિયાન અંદાજે ૨,૦૦૦ લોકોને રોજગારી મળશે, જ્યારે આ સિસ્ટમના ઓપરેશન અને મેન્ટેનન્સ (સંચાલન અને જાળવણી) દરમિયાન વધુ ૫૦૦ લોકોને કામ મળવાની સંભાવના છે.

