રવિવારે બોટ દુર્ઘટનામાં વિયેતનામ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે સ્પીડ બોટના કેપ્ટનને કસ્ટડીમાં લીધો છે. આ અકસ્માતમાં 15 ભારતીયોના મોત થયા હતા. 57 વર્ષીય કેપ્ટન ન્ગ્યુએન હોંગ હૈની વોટરવે ટ્રાન્સપોર્ટ સેફ્ટી નિયમોના કથિત ઉલ્લંઘન બદલ તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે અકસ્માત થયો ત્યારે સ્પીડબોટમાં 32 ભારતીય પ્રવાસીઓ અને ચાર વિયેતનામીસ ક્રૂ મેમ્બર સવાર હતા. શનિવારે બપોરે કિનારાથી અડધા કિલોમીટરથી પણ ઓછા અંતરે બોટ પલટી ગઈ હતી.
આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 15 ભારતીય પ્રવાસીઓના મૃતદેહોને રવિવારે હો ચી મિન્હ સિટી લાવવામાં આવ્યા હતા જ્યાંથી તેમને ટૂંક સમયમાં ભારત મોકલવામાં આવશે. હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસે આ માહિતી આપી છે. ભારતીય મિશનએ એમ પણ કહ્યું કે બચાવાયેલા 17 ભારતીય પ્રવાસીઓમાંથી 16 ઘરે પરત ફરી રહ્યા છે જ્યારે એક પ્રવાસીની હાલત નાજુક છે અને તેને ફૂ ક્વોકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ફૂ ક્વોક ટાપુ નજીક હોઆન મી રુટ નગોઈ નજીક શનિવારે 32 ભારતીય પ્રવાસીઓ અને ચાર સ્થાનિક ક્રૂ સભ્યોને લઈને જતી બોટ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 15 ભારતીય પ્રવાસીઓના મોત થયા હતા અને અન્ય તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો.
“ગઈકાલના ફેરી દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 15 ભારતીય નાગરિકોના મૃતદેહને હો ચી મિન્હ સિટી મોકલવામાં આવ્યા છે. હો ચી મિન્હ સિટીમાં જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા પછી શક્ય તેટલી વહેલી તકે મૃતદેહોને ભારત મોકલવામાં આવશે,” એમ એમ્બેસીએ રવિવારે ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું. એમ્બેસીએ કહ્યું કે તેની ટીમ અને કોન્સ્યુલર ટીમ વિયેતનામીસ સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે અને વિયેતનામના સત્તાવાળાઓ મૃતદેહોને ઝડપથી ભારત મોકલવા માટે તમામ શક્ય મદદ પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
15 મૃતકોમાંથી 10 તમિલનાડુના હતા.
દૂતાવાસે કહ્યું, “અમે ફૂ ક્વોક હોસ્પિટલમાં દાખલ એકમાત્ર બચી ગયેલા વ્યક્તિના ઝડપી સ્વસ્થ થવાની ઇચ્છા રાખીએ છીએ.” દૂતાવાસ દ્વારા શેર કરવામાં આવેલી યાદી અનુસાર, 15 મૃતકોમાંથી 10 તમિલનાડુના, ત્રણ આંધ્રપ્રદેશના અને ત્રણ કેરળના હતા. મૃતકોમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. યાદી અનુસાર, તમિલનાડુના મૃતકોની ઓળખ સેન્થિલ કુમાર જયવેલ, મુરુગા પ્રભુ અરુમુગમ, શ્રીધર સુંદરરાજન, શેખ અબ્દુલ્લા અબ્દુલ મજીદ, બાલાજી નટેસન, વિનય કુમાર ચિથિરાપુરમ ભાસ્કર, રવિશંકર સુગુમરન, સંતોષ કુમાર શાંતિલાલ જૈન, બાબુ અલ કુપ્પુરાજાન અને બાબુ અલ કુપ્પુરાજન તરીકે થઈ છે.

