ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે ગુરુવારે આગામી ન્યૂઝીલેન્ડ શ્રેણી અને સ્થાનિક ક્રિકેટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શુભમન ગિલને આવતા વર્ષના T20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મળ્યું નથી, તે ટીમનો નિયમિત સભ્ય હતો પરંતુ આગામી T20 વર્લ્ડ કપ માટે પસંદ કરવામાં આવેલી 15 સભ્યોની ટીમમાં સ્થાન મેળવી શક્યો ન હતો. ભારતીય વનડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી સમાપ્ત થયા બાદ પ્રથમ વખત મેદાન પર જોવા મળ્યો હતો.
ચંદીગઢ પરત ફર્યા બાદ શુભમન ગિલે કોઈ સમય બગાડ્યા વિના બેટ હાથમાં લીધું. ગિલ નેટ્સ પર કલાકો સુધી બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. તે ખાસ કરીને તેના ‘પાવર-હિટિંગ’ પર ધ્યાન આપી રહ્યો છે. શુભમન ગિલ વિજય હજારે ટ્રોફીમાં પંજાબનું પ્રતિનિધિત્વ કરતો જોવા મળી શકે છે. વિજય હજારે ટ્રોફીમાં રમી રહેલા સ્ટાર ખેલાડીઓની યાદીમાં રિષભ પંત, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, અભિષેક શર્મા જેવા નામો પણ સામેલ છે, પરંતુ કોહલી અને રોહિત જેટલી હેડલાઈન્સ કોઈને નથી મળતી. કોહલી અને રોહિતને સ્થાનિક ટુર્નામેન્ટમાં રમવાનું છે કારણ કે ભારતીય ક્રિકેટ બોર્ડે તમામ ભારતીય ક્રિકેટરો માટે વિજય હજારે ટ્રોફીની ઓછામાં ઓછી બે મેચ રમવાનું ફરજિયાત બનાવ્યું છે.
20 ડિસેમ્બર, 2025 ના રોજ, જ્યારે BCCI એ આગામી T20 વર્લ્ડ કપ 2026 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી, ત્યારે તેમાં સૌથી આશ્ચર્યજનક નામ શુભમન ગિલનું હતું, જે ટીમમાં નહોતું. પસંદગીકારોનું માનવું હતું કે શુભમન ગિલ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી રહ્યો નથી. છેલ્લી 15 ઇનિંગ્સમાં તેની એવરેજ 25થી નીચે હતી અને સ્ટ્રાઇક રેટ 140 ની આસપાસ હતો. અજીત અગરકર અને કેપ્ટન સૂર્યકુમાર યાદવે સ્પષ્ટ કર્યું હતું કે ટીમને ટોપ ઓર્ડરમાં વિકેટકીપર-બેટ્સમેનની જરૂર હતી, જેના કારણે ગિલને સ્થાન મળી શક્યું ન હતું.
શુભમન ગિલને ભલે T20 વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન ન મળ્યું હોય પરંતુ તે 11 થી 18 જાન્યુઆરી દરમિયાન ન્યૂઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI શ્રેણી માટે ભારતીય ટીમમાં ફરી જોડાશે, જ્યાં તે 50 ઓવરના ફોર્મેટમાં મુખ્ય ખેલાડી અને કેપ્ટન છે.

