પાકિસ્તાન હાલમાં અત્યંત ગંભીર જળ સંકટની આરે ઊભું છે. દેશના સિંધ અને બલૂચિસ્તાન પ્રાંતમાં પાણીની તીવ્ર અછતને કારણે કૃષિ, સામાન્ય જીવન અને પ્રાદેશિક અર્થવ્યવસ્થા મોટા જોખમમાં છે. સિંચાઈ નેટવર્ક પર વધતા દબાણ અને પ્રાંતો વચ્ચે પાણીના અસમાન વિતરણ અંગેના વિવાદોએ પરિસ્થિતિને વધુ તંગ બનાવી છે.
સુક્કુર બેરેજ કંટ્રોલ રૂમમાંથી પ્રાપ્ત સત્તાવાર માહિતી અનુસાર, હાલમાં સિંધ પ્રાંતને મળતા પાણીમાં 39.6 ટકા (લગભગ 40%) ની ભારે અછત નોંધાઈ છે. સુક્કુર બેરેજમાં પાણીની કુલ આવક 50,620 ક્યુસેક છે, જ્યારે આઉટફ્લો માત્ર 32,120 ક્યુસેક છે. સિંધની સાત મુખ્ય નહેરો માટે કુલ 53,200 ક્યુસેક પાણી ફાળવવામાં આવ્યું છે, પરંતુ હાલમાં તેમને 21,080 ક્યુસેક ઓછું પાણી મળી રહ્યું છે.
વિવિધ નહેરોની સ્થિતિ
દાદુ કેનાલ: અહીં પરિસ્થિતિ સૌથી ખરાબ છે, જ્યાં નિર્ધારિત 5,997 ક્યુસેક સામે માત્ર 860 ક્યુસેક પાણી મળી રહ્યું છે – જે 85.7% ની મોટી અછત છે.
ખેરપુર ફીડર પશ્ચિમ: અહીં 67.1% પાણીની અછત છે.
કોટરી બેરેજ: તેને તેના ક્વોટાનો અડધો પણ પાણી નથી મળતું અને તે 55.74%ની અછતથી પીડાઈ રહ્યું છે.

