સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા લાંબા સમયથી ODI ટીમની બહાર છે. તેણે આ વર્ષે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ભારત માટે છેલ્લી વનડે રમી હતી. જે બાદ તે ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર વનડે રમ્યો ન હતો. સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝમાં તે રમ્યો નહોતો પરંતુ ટી20 સીરીઝમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હવે એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે તે આવતા મહિને ન્યુઝીલેન્ડ સામેની સીરીઝ માટે વનડેમાં પુનરાગમન કરશે પરંતુ તેમ થયું નહીં. ક્રિકબઝના અહેવાલ મુજબ, ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની વનડે શ્રેણીમાં ન તો હાર્દિક પંડ્યા કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ જોવા મળશે.
11 જાન્યુઆરીથી ન્યૂઝીલેન્ડ સામે 3 વન-ડે સીરિઝ શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ વડોદરામાં રમાશે. બીજી વનડે 14 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી 18 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે. ન્યુઝીલેન્ડ સામેની ODI પછી T20 સીરીઝ થવાની છે અને તેના માટે ભારતીય ટીમની ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ ODI સીરીઝ માટેની ટીમ હજુ જાહેર કરવામાં આવી નથી. અહેવાલો અનુસાર, BCCI પસંદગીકારો 4 અથવા 5 જાન્યુઆરીએ ODI ટીમની જાહેરાત કરી શકે છે.
ક્રિક બઝના અહેવાલ મુજબ, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણીમાં આરામ આપવામાં આવશે. જોકે, બંને ટી20 સિરીઝ માટે જાહેર કરાયેલી ટીમનો ભાગ છે.
જસપ્રિત બુમરાહની વાત કરીએ તો, તે હાર્દિક પંડ્યા કરતા લાંબા સમયથી ODIમાંથી બહાર છે. વર્કલોડ મેનેજમેન્ટના કારણે આવું બન્યું છે. જસપ્રીત બુમરાહે છેલ્લે 2023માં ODI રમી હતી. તે વર્ષે ODI વર્લ્ડ કપની ફાઈનલ બાદ તે કોઈપણ ODIમાં જોવા મળ્યો નથી.

