કાર, બાઈક અને વ્હેલ વોમિટ સહિત રૂ.૬૬.૭૦ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
(પ્રતિનિધિ) ભરૂચ, અંકલેશ્વર વન વિભાગની ટીમે લાખો રૂપિયાની પ્રતિબંધિત વ્હેલ માછલીની ઉલટી સાથે ૩ આરોપીઓને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અંકલેશ્વર વન વિભાગે વન્યજીવ તસ્કરી સામે મોટી કાર્યવાહી કરતાં દ્ગૐ-૪૮ પર નર્મદા ગેટ નજીકથી આશરે ૬૫ લાખ કિંમતની વ્હેલ માછલીની ઉલ્ટી- એમ્બરગ્રીસ કબ્જે કરી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ પ્રતિબંધિત પદાર્થ ભાવનગરથી લાવવામાં આવ્યો હતો અને તેનો સોદો થાય તે પહેલાં જ વન વિભાગે દરોડો પાડી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
મુંબઈ વાઇલ્ડ લાઇફ ટીમે વેપારી બનીને ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. મળેલી બાતમીના આધારે વન વિભાગે આરોપીઓ પર નજર રાખી અને યોગ્ય સમયે કાર્યવાહી કરીને તેમને ઝડપી પાડ્યા.ઝડપાયેલા આરોપીઓમાં આણંદના રહેવાસી સિંધા મહેન્દ્ર રમેશભાઈ તેમજ અંકલેશ્વરના પટેલ હર્ષ ચંદ્રકાંત અને મુખ્ય આરોપી ચૌહાણ કમલ નટવરલાલનો સમાવેશ થાય છે.કાર્યવાહી દરમ્યાન વન વિભાગે એમ્બરગ્રીસ ઉપરાંત એક કાર અને બાઈક પણ જપ્ત કરી છે. કુલ મળીને ૬૬.૭૦ લાખનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એમ્બરગ્રીસ, જેને સામાન્ય ભાષામાં વ્હેલ માછલીની ઉલ્ટી તરીકે ઓળખવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય બજારમાં ખૂબ કિંમતી માનવામાં આવે છે. ભારતમાં તેનો વેપાર વન્યજીવ સંરક્ષણ કાયદા હેઠળ પ્રતિબંધિત છે અને તેની હેરાફેરી ગંભીર ગુનો ગણાય છે. અગાઉ પણ ગુજરાતમાં કરોડો રૂપિયાના એમ્બરગ્રીસના જથ્થા ઝડપાયાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે.
વન વિભાગે આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન આ ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા અન્ય લોકોના નામ પણ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

