ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે તેના કોલેજકાળનો એક રમુજી કિસ્સો શેર કર્યો છે. તેણે કહ્યું કે કોલેજ દરમિયાન તેણે એક મેચ રમી હતી જેમાં તેણે ફાસ્ટ બોલિંગ સિવાય બધું કર્યું હતું. તે મેચમાં તેણે વિકેટ કીપિંગ કરી હતી અને છઠ્ઠા નંબર પર બેટિંગ પણ કરી હતી. જરૂર પડ્યે તે સ્પિનર પણ બન્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર ઝડપી બોલર જસપ્રિત બુમરાહનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ગ્લોવ્ઝ પહેરીને પ્રેક્ટિસ કરતો જોવા મળી રહ્યો છે.
ભારતના હાલના સૌથી ખતરનાક બોલર જસપ્રીત બુમરાહે ખુલાસો કર્યો છે કે તેના કોલેજના દિવસોમાં તે બોલર તરીકે નહીં પણ મુખ્યત્વે ‘ઓલરાઉન્ડર’ તરીકે રમ્યો હતો. IPL ફ્રેન્ચાઈઝી મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં તેના કોલેજના દિવસોની યાદ તાજી કરતા, બુમરાહે ખુલાસો કર્યો કે તેણે ક્રિકેટની શરૂઆત ફાસ્ટ બોલર તરીકે નથી કરી. બુમરાહે કહ્યું, “ખૂબ ઓછા લોકો જાણે છે કે મારા કોલેજના દિવસોમાં મેં એક મેચમાં ઓફ-સ્પિન બોલિંગ કરી હતી. એટલું જ નહીં, મેં ટીમ માટે 6 નંબર પર બેટિંગ પણ કરી હતી અને ઘણી મેચોમાં મેં વિકેટ કીપિંગની જવાબદારી પણ લીધી હતી.” ગ્લોવ્ઝ પહેરીને બુમરાહે વીડિયોમાં કહ્યું કે એવું લાગ્યું કે હું બિસ્કિટ બનાવી રહ્યો છું.
બુમરાહનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ચાહકો એ વાત પર વિશ્વાસ કરી શકતા નથી કે જેના બોલર 145+ કિમી/કલાકની ઝડપે ઉડે છે તેણે ક્યારેય ધીમી ઓફ-સ્પિન બોલિંગ કરી છે. આજે બુમરાહ ત્રણેય ફોર્મેટમાં ભારતનો સૌથી ભરોસાપાત્ર ખેલાડી છે. જસપ્રીત બુમરાહને આગામી T20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે, T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહને ન્યૂઝીલેન્ડ સામેની આગામી વનડે શ્રેણી માટે આરામ આપવામાં આવે તેવી શક્યતા છે. આ બંનેએ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણીમાં ભાગ લીધો હતો.
T20 વર્લ્ડ કપ પહેલા, ન્યૂઝીલેન્ડ સામે પાંચ આંતરરાષ્ટ્રીય T20 મેચ નાગપુર (21 જાન્યુઆરી), રાયપુર (23 જાન્યુઆરી), ગુવાહાટી (25 જાન્યુઆરી), વિશાખાપટ્ટનમ (28 જાન્યુઆરી) અને તિરુવનંતપુરમ (31 જાન્યુઆરી)માં યોજાશે. માનવામાં આવી રહ્યું છે કે, હાર્દિક પંડ્યા અને જસપ્રિત બુમરાહ ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની ટી-20 શ્રેણીમાં વાપસી કરશે. આ પહેલાની ત્રણ વનડે મેચ 11 જાન્યુઆરી (બરોડા), 14 જાન્યુઆરી (રાજકોટ) અને 18 જાન્યુઆરી (ઇંદોર) ના રોજ રમાશે. આમાં બુમરાહ અને પંડ્યાનો સમાવેશ થાય તેવી શક્યતા ઓછી છે. વનડે ટીમની જાહેરાત 4-5 જાન્યુઆરીની આસપાસ થવાની ધારણા છે.

