Ahmedabad Udaipur Vande Bharat: ગુજરાત અને રાજસ્થાન વચ્ચેનું અંતર હવે વધુ ઘટશે. અમદાવાદથી લેક સિટી ઉદયપુર માટે વંદે ભારત ટ્રેનનું સંચાલન થશે. આ ટ્રેન અમદાવાદના અસારવા સ્ટેશનથી ચાલશે અને ઉદયપુર જશે. અમદાવાદથી ઉદયપુરની મુસાફરી સવા ચાર કલાકમાં પૂરી થઈ જશે. રેલવેએ આ ટ્રેનના સંચાલનને મંજૂરી આપી દીધી છે. રેલ મંત્રાલયે રાજસ્થાનના દક્ષિણ ભાગથી ગુજરાતને ઝડપી કનેક્ટિવિટી આપવાના ઉદ્દેશ્યથી આ ટ્રેનના સંચાલનને લીલી ઝંડી આપી દીધી છે. ટૂંક સમયમાં આ ટ્રેન બંને શહેરો વચ્ચે દોડવા લાગશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે. સ્ટેશનની બિલ્ડિંગ ૧૬ માળની બનાવવામાં આવી રહી છે.
ટાઈમિંગ અને સ્ટોપેજ
ઉદયપુર → અસારવા (ટ્રેન નંબર 26963)
| સ્ટેશન | આવવાનો/જવાનો સમય |
| ઉદયપુર સિટી | — / 06:10 |
| જાવર | 06:43 / 06:45 |
| ડુંગરપુર | 07:48 / 07:50 |
| હિંમતનગર | 09:05 / 09:07 |
| અસારવા (અમદાવાદ) | 10:25 |
અસારવા → ઉદયપુર (ટ્રેન નંબર 26964)
| સ્ટેશન | આવવાનો/જવાનો સમય |
| અસારવા (અમદાવાદ) | — / 17:45 |
| હિંમતનગર | 18:53 / 18:55 |
| ડુંગરપુર | 20:03 / 20:05 |
| જાવર | 21:05 / 21:07 |
| ઉદયપુર સિટી | 22:00 |
ટૂંક સમયમાં જાહેર થશે લોન્ચ ડેટ
અમદાવાદથી ઉદયપુર વચ્ચે વંદે ભારતના સંચાલનની હજુ તારીખ જાહેર કરવામાં આવી નથી. સૂત્રોનું કહેવું છે કે ટૂંક સમયમાં તારીખ નક્કી થઈ શકે છે. આ ટ્રેનને સુરત સુધી લંબાવવાની માંગ પણ સામે આવી છે. માહિતી અનુસાર, નવી મંજૂર કરાયેલી ટ્રેન જોડી, 26963/26964 ઉદયપુર-અસારવા (અમદાવાદ) વંદે ભારત એક્સપ્રેસ, મંગળવાર સિવાય, અઠવાડિયામાં છ દિવસ ચાલશે. પ્રાઇમરી મેન્ટેનન્સ ઉદયપુરમાં કરવામાં આવશે, જેમાં એક વંદે ભારત રેક લગાવવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના જાવર, ડુંગરપુર અને હિંમતનગરમાં કોમર્શિયલ સ્ટોપેજ હશે. આ ટ્રેનના સંચાલનથી ઉદયપુર જનારા ગુજરાતના લોકોને ઘણી સુવિધા થશે. ઉદયપુર જનારા ઘરેલું પ્રવાસીઓમાં ગુજરાતના લોકોની સંખ્યા ઘણી વધારે છે.

