બાંગ્લાદેશના મૈમનસિંઘ જિલ્લામાં એક હિન્દુ યુવકની લિંચિંગના કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે શનિવારે આ માહિતી આપી હતી. યુનુસે કહ્યું કે રેપિડ એક્શન બટાલિયને મૈમનસિંહના બાલુકામાં 27 વર્ષીય સનાતન હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની લિંચિંગના કેસમાં શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે.
યુનુસે કહ્યું, “રૅપિડ એક્શન બટાલિયન (આરએબી) એ 27 વર્ષીય સનાતન હિન્દુ યુવક દીપુ ચંદ્ર દાસની મૈમનસિંહના બાલુકામાં લિંચિંગના કેસમાં શંકાસ્પદ તરીકે સાત લોકોની ધરપકડ કરી છે.” નિવેદન અનુસાર ધરપકડ કરાયેલ લોકોની ઓળખ મોહમ્મદ લિમોન સરકાર (19), મોહમ્મદ તારેક હુસૈન (19), મોહમ્મદ માનિક મિયા (20), ઇર્શાદ અલી (39), નિજુમ ઉદ્દીન (20), આલમગીર હુસૈન (38) અને મોહમ્મદ મિરાજ હુસૈન અકાન (46) તરીકે કરવામાં આવી છે.
યુનુસે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આરએબી એકમો દ્વારા સંકલિત ઓપરેશન બાદ ધરપકડ કરવામાં આવી હતી. “RAB-14 એ જુદા જુદા સ્થળોએ ઓપરેશન હાથ ધર્યું અને ઉપરોક્ત શંકાસ્પદ લોકોની ધરપકડ કરી,” તેમણે કહ્યું.
દરમિયાન, બાંગ્લાદેશના અગ્રણી યુવા નેતાના મૃતદેહને શુક્રવારે સિંગાપોરથી ઢાકા લાવવામાં આવ્યો હતો, બાંગ્લાદેશની વચગાળાની સરકારે તેના નાગરિકોને કેટલાક અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતી હિંસાથી દૂર રહેવાનું આહ્વાન કર્યું હતું. યુવા નેતા શરીફ ઉસ્માન હાદીને છ દિવસ પહેલા ગોળી મારી દેવામાં આવી હતી. જુલાઇમાં સરકાર વિરુદ્ધ હિંસક વિરોધ પ્રદર્શનમાં તેઓ એક અગ્રણી વ્યક્તિ હતા.
પોલીસના જણાવ્યા મુજબ, હાદીનો મૃતદેહ સિંગાપોરથી ઢાકા પહોંચ્યો તેના થોડા સમય પછી, કથિત કટ્ટરપંથી જમણેરી કાર્યકરોએ રાજધાનીમાં ડાબેરી ઉદીચી શિલ્પીગોષ્ઠીની મુખ્ય ઓફિસમાં આગ લગાવી દીધી.

