(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા અવિનાશ મસાલા ગોડાઉનમાંથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા અંદાજે 2500 કિલો હળદર તથા અંદાજે 1400 કિલો ટુકડા કાજુનો જથ્થો જપ્ત કરવામાં આવ્યા હતા. જે હળદરનો જથ્થો ભેળસેળવાળો હોવાનું સામે આવ્યું છે.
હળદરના નમૂનામાં સ્ટાર્ચનું પ્રમાણ 84.8 ટકા જેટલું વધુ નોંધાયું છે. સામાન્ય રીતે સુકા હળદરમાં સ્ટાર્ચ/કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ અંદાજે 40 ટકાથી 60 ટકા સુધી હોય છે. હળદરના નમૂનામાં ઘઉંનો લોટ તથા ચણાનો લોટ (બેસન)નું મિશ્રણ હોવાથી હળદરમાં બહારથી સ્ટાર્ચયુક્ત પદાર્થોની ભેળસેળ કરી હોવાનું સામે આવતાં FSSAI એક્ટ હેઠળ નિયમોનુસાર કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે ફૂડ વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દૂધ અને દૂધની બનાવટો, નમકીન, બેકરી પ્રોડક્ટ્સ, બેસનનો લોટ, મસાલા તેમજ અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લેવામાં આવી નિયમિત ચકાસણી અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
8 મેના રોજ મધ્ય ઝોનના માધુપુરા વિસ્તારમાં અરવિંદ ભુવન સામે સુદામોમલ તનુમલના અવિનાશ મસાલા ગોડાઉનમાં તપાસ કરવામાં આવી હતી. તપાસમાં વેપારી પાસે માન્ય FSSAI લાઇસન્સ ઉપલબ્ધ ન હોવાનું જણાયું હતું.
સ્થળ પરથી અંદાજે 2500 કિલો હળદર (અંદાજિત કિંમત રૂ. 5 લાખ) તથા અંદાજે 1400 કિલો ટુકડા કાજુ (અંદાજિત કિંમત રૂ. 4.90 લાખ) મળી આવેલા હતા. આમ કુલ અંદાજિત રૂ. 9.90 લાખનો જથ્થો મળી આવ્યો હતો. હળદર તથા કાજુનો જથ્થો શંકાસ્પદ જણાતા જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને ફૂડ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો.
ફૂડ વિભાગની લેબોરેટરી રિપોર્ટ મુજબ હળદરના નમૂનામાં સ્ટાર્ચનું પ્રમાણ 84.8 ટકા જેટલું અસામાન્ય રીતે વધુ નોંધાયું છે. સામાન્ય રીતે સુકા હળદરમાં સ્ટાર્ચ/કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ અંદાજે 40 ટકાથી 60 ટકા સુધી હોય છે.
ઉપરાંત નમૂનામાં ઘઉંનો લોટ તથા ચણાનો લોટ (બેસન)નું મિશ્રણ હોવાથી હળદરમાં બહારથી સ્ટાર્ચયુક્ત પદાર્થોની ભેળસેળ થયેલી જણાયું છે. તેથી નમૂનાને ભેળસેળયુક્ત અથવા નબળી ગુણવત્તાવાળી હળદર તરીકે ગણાવી શકાય ટુકડા કાજુનાં જે નમુના લેવામાં આવેલ તેનું પરિણામ હાલ પેન્ડિંગ છે.

