અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમની સાથે વાત કરી છે. બંને નેતાઓ વચ્ચે આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે વેપારને લઈને તણાવ ચાલુ છે. ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે બંને નેતાઓ વચ્ચેની વાતચીત અંગે આ માહિતી આપી છે. સર્જિયો ગોર ભારતમાં યુએસ એમ્બેસેડર છે અને દક્ષિણ અને મધ્ય એશિયા માટે વિશેષ દૂત પણ છે. તેમણે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચેની વાતચીતની માહિતી શેર કરી છે. જો કે, બંને નેતાઓ વચ્ચે શું ચર્ચા થઈ તે અંગે ગોરે કોઈ માહિતી આપી ન હતી.
આ સંવાદને ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ઉચ્ચ સ્તરીય સંપર્કોનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે. મોટી વાત એ છે કે બંને નેતાઓ વચ્ચે આ ફોન પર વાતચીત એ દિવસે થઈ જ્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે વોશિંગ્ટનની ત્રણ દિવસીય મુલાકાત શરૂ કરી. આ પહેલા વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે છેલ્લો ફોન ગત વર્ષે 10 ડિસેમ્બરે થયો હતો. તે દરમિયાન ટેરિફ અંગે ચર્ચા થઈ હતી. ટેરિફ વિવાદ બાદ બંને નેતાઓ વચ્ચે આ ત્રીજી ફોન વાતચીત હતી.

