વારંવાર નિયમોના ભંગ બદલ ગુજરાત હાઈકોર્ટ આસારામ આશ્રમ પર લાલઘુમ થઈ અને રાહત આપવાનો ઈનકાર કર્યો
આશ્રમે સરકારી શરતો તોડી નદીની જમીન પચાવી પાડી છે. સાથે જ સાબરમતી નદીની જમીન પણ પચાવી પાડી છે.
(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં આસારામ આશ્રમ તોડવાનો માર્ગ મોકળો બની ગયો છે. ગુજરાત હાઈકોર્ટની ડબલ બેન્ચ દ્વારા આસારામ આશ્રમની અપીલ ફગાવી દેવાઈ છે. હાઈકોર્ટના સિંગલ જજનો આદેશ યથાવત રાખવામાં આવ્યો છે. હવે ગમે તે ઘડીએ આસારામ આશ્રમ તોડી પાડવામાં આવશે. નવી નોટિસ આપી સરકાર આસારામ આશ્રમની જમીન પરત મેળવશે.
તેમજ કલમ ૨૦૨ હેઠળ નોટિસ આપી આશ્રમનો કબજો લેવાશે. અમદાવાદ સ્થિત મોઢેરામાં આવેલ આસારામ આશ્રમનો મામલો ગુજરાત હાઈકોર્ટ પહોંચ્યો હતો. આસારામઆશ્રમની જમીન પાછી લેવા કલેક્ટરે આદેશ કર્યો હતો. આ મુદ્દે આશ્રમે જમીન આપતી વખતે સરકારે મૂકેલી શરતો ભંગ કર્યાનું કલેક્ટરનું કહેવું હતું. કલેક્ટરના હુકમને આશ્રમે હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જેના બાદ આજે ગુજરાત હાઈકોર્ટ સિંગલ જજે કલેક્ટરના હુકમને યોગ્ય ઠેરવ્યો હતો. જેથી આશ્રમે ડબલ જજની બેન્ચ સમક્ષ સિંગલ જજના હુકમને પડકાર્યો હતો.
ડબલ જજની બેન્ચે આશ્રમની અપીલને નકારી કાઢી છે. આશ્રમે સ્ટે માંગી હાઈકોર્ટમાં દલીલ રજૂ કરતા કહ્યું હતું કે, ૪૫ વર્ષ કરતા વધુ સમયથી આ જમીન અમારા કબ્જામાં હતી. આ વિશે હાઈકોર્ટે નોંધ્યું કે આશ્રમે નિયમોનો ભંગ કર્યો. વારંવાર નિયમોનો ભંગ કર્યો છે. આશ્રમે સરકારી શરતો તોડી નદીની જમીન પચાવી પાડી છે. સાથે જ સાબરમતી નદીની જમીન પણ પચાવી પાડી છે.
નદીની જમીનનું રેગ્યુલરાઇઝેશન થઈ શકે નહી. જમીન ખાલી કરો તો સ્ટે આપીએ. આ પર આશ્રમે કહ્યું કે, બાહેંધરી આપીએ તો સુપ્રીમાં આદેશ મુજબ અપીલ થઈ શકે નહીં. તો હાઇકોર્ટે કહ્યું કે, આશ્રમે સ્ટે માંગ્યો છે, ૪ અઠવાડિયા માટે, જેથી તેઓ ઉપરની કોર્ટમાં અપીલમાં જઈ શકે છે. જો કે સરકારી વકીલે બાહેંધરી આપી કે આશ્રમને લેન્ડ રેવન્યુ કોડ ૨૦૨ અંતર્ગત નવી નોટિસ આપવામાં આવશે, જેથી તેઓ જગ્યા ખાલી કરીને સરકારને સોંપી શકે છે.
આમ, વારંવાર નિયમોના ભંગ બદલ ગુજરાત હાઈકોર્ટ આસારામ આશ્રમ પર લાલઘુમ થઈ હતી. હાઈકોર્ટે આસારામ આશ્રમને રાહત આપવાનો ઈન્કાર કર્યો છે. હાઈકોર્ટે ચોખ્ખે ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે, પહેલાં આશ્રમની જમીન ખાલી કરો પછી જ સ્ટે મળશે.

