જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં જૈશનો એક આતંકી માર્યો ગયો છે. જમ્મુ આઈજીપીના જણાવ્યા અનુસાર, આ એન્કાઉન્ટર બિલવાર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. મળતી માહિતી મુજબ બિલવરના ગાઢ જંગલોમાં કેટલાક આતંકવાદીઓ છુપાયેલા હતા. માહિતી મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર અને CRPFએ મળીને જાળ બિછાવી અને ચારે બાજુથી જંગલને ઘેરી લીધું. આવી સ્થિતિમાં આતંકવાદીઓના ભાગી જવાના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા.
જમ્મુ રેન્જના પોલીસ મહાનિરીક્ષક ભીમ સેન તુટીએ જણાવ્યું કે બિલ્લાવર વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન દરમિયાન આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો. જમ્મુ પોલીસ વડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “બિલ્લાવરમાં સેના અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) સાથેના સંયુક્ત ઓપરેશનમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા એક પાકિસ્તાની જૈશ આતંકવાદીને મારી નાખવામાં આવ્યો હતો.”
અધિકારીઓએ માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ જૈશ-એ-મોહમ્મદના કમાન્ડર ઉસ્માન તરીકે કરી હતી અને કહ્યું હતું કે તેની પાસેથી M4 ઓટોમેટિક રાઈફલ સહિત શસ્ત્રો અને દારૂગોળોનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
મળતી માહિતી મુજબ, ફેબ્રુઆરી 2024માં ઉસ્માન સહિત 10 આતંકવાદીઓનું એક જૂથ જમ્મુમાં ઘૂસણખોરી કર્યું હતું. જેમાં ફરમાન, પાશા, આદિલ અને સૈફુલ્લા નામના આતંકવાદીઓ સામેલ હતા. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણના સમાચાર પહેલા જ આવી ગયા હતા. ઓપરેશન દરમિયાન, જ્યારે સૈનિકો અને આતંકવાદીઓ સામસામે આવી ગયા, ત્યારે ભીષણ ગોળીબાર શરૂ થયો.
ગયા વર્ષે માર્ચમાં કઠુઆમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર જવાન શહીદ થયા હતા. તાજેતરમાં કઠુઆ પાસે પાકિસ્તાન બોર્ડર પર ડ્રોન પણ ફરતા જોવા મળ્યા હતા. આ પછી સેનાએ એન્ટી ડ્રોન સિસ્ટમ એક્ટિવેટ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ આ રીતે પાકિસ્તાની ડ્રોન જોવા મળી રહ્યા છે. જો કે સેનાની સતર્કતાને કારણે તેઓ ભારતીય સરહદમાં પ્રવેશ કરી શકતા નથી.

