નવી દિલ્હી, ભારતમાં કફ સિરપના વધતા જતા ગેરકાયદેસર વેચાણ અને તેના કારણે થતા ગંભીર સ્વાસ્થ્ય જોખમોને રોકવા માટે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે એક મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો છે.
હવેથી, કોઈપણ પ્રકારનું કફ સિરપ ડૉક્ટરના માન્ય પ્રિસ્ક્રિપ્શન વિના મેડિકલ સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે નહીં. સરકારના આ પગલાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોની સલામતી સુનિશ્ચિત કરવાનો અને દવાઓના દુરુપયોગને અટકાવવાનો છે.
કેન્દ્રીય મંત્રાલયે ‘ડ્રગ્સ (પાંચમો સુધારો) નિયમો, ૨૦૨૬’ બહાર પાડ્યા છે. આ સુધારા અંતર્ગત ‘શેડ્યૂલ’ માંથી ‘સિરપ’ શબ્દને દૂર કરવામાં આવ્યો છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે હવે કોઈપણ સિરપ ઓવર-ધ-કાઉન્ટર વેચી શકાશે નહીં.
જો કોઈ મેડિકલ સ્ટોર સંચાલકપ્રિસ્ક્રિપ્શન વગર સિરપનું વેચાણ કરતા પકડાશે, તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને તેમનું લાયસન્સ પણ રદ કરી દેવામાં આવશે.
તાજેતરના સમયમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાન જેવા રાજ્યોમાં કફ સિરપના સેવનથી બાળકોના મૃત્યુના દુખદ કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. આ ઘટનાઓએ સમગ્ર દેશમાં ચિંતા જગાવી હતી. આરોગ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવના નેતૃત્વમાં દેશભરના ૨૦૦થી વધુ આરોગ્ય અધિકારીઓની એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે દવાઓની ગુણવત્તા અને વેચાણમાં કોઈપણ સ્તરે બેદરકારી સહન કરવામાં આવશે નહીં.
આગામી સમયમાં, દેશભરની ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓ અને દવાના સ્ટોર્સનું સઘન નિરીક્ષણ કરવામાં આવશે. સરકાર દરેક સ્તરે જવાબદારી નક્કી કરી રહી છે જેથી ભેળસેળયુક્ત કે અનધિકૃત દવાઓ બજાર સુધી ન પહોંચે. આ નવા આદેશ બાદ તમામ રાજ્યોના આરોગ્ય વિભાગોને કડક સૂચનાઓ આપવામાં આવી છે કે તેઓ તેમના વિસ્તારમાં આ નિયમોનું ચુસ્તપણે પાલન કરાવે.

