રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં પારસ ચંદ્રક અર્પણ સમારોહ યોજાયો
સાહિત્યકારો જ્યોત સમાન છે જે પોતે પ્રજ્વલિત થઈને સમાજને સાચો દિશાદર્શન અને પ્રકાશ આપે છે: રાજ્યપાલ
સંસ્કૃતિ એ સમાજનો આત્મા છે અને સભ્યતા એ તેનું શરીર છે; સાહિત્ય અને સંસ્કૃતિ વિહીન સમાજ પથ્થર સમાન છે : આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે પારસ ચંદ્રક અર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે ‘પારસ પટેલની વાર્તાઓ‘ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
પારસ ચંદ્રક અર્પણ સમારોહમાં વર્ષ ૨૦૨૫ માટે પદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે શ્રી રાજેન્દ્ર શુક્લ, ગદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે પદ્મશ્રી કુમારપાળ દેસાઈ, પદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક તરીકે શ્રી હર્ષવી પટેલ, ગદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક શ્રી તરીકે શ્રી અજય સોની તથા સાહિત્ય સેવા માટે શ્રી હરદ્વાર ગોસ્વામીને પારસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

વર્ષ ૨૦૨૬ માટે પદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે શ્રી સંજુ વાળા, ગદ્યના શ્રેષ્ઠ સર્જક તરીકે મણિલાલ પટેલ, પદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક તરીકે શ્રી અનિલ ચાવડા, ગદ્યના શ્રેષ્ઠ યુવા સર્જક તરીકે શ્રી મયુર ખાવડુ તથા સાહિત્ય સેવા માટે હિતેન આનંદપરાને પારસ ચંદ્રક એનાયત કરવામાં આવ્યા હતા.

આ તકે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લક્ષ્મી અને વિદ્વત્તાનો મેળ ઓછો જોવા મળતો હોય છે, પરંતુ શ્રી પારસ પટેલે એક સફળ બિઝનેસમેન હોવાની સાથે સાહિત્ય અને સંસ્કૃતિ પ્રત્યે અનન્ય અનુરાગ દાખવી આ વિડંબનાને ખોટી સાબિત કરી છે. આર્થિક સંપન્નતાની સાથે ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિને પ્રેમ કરનારા લોકો રાષ્ટ્રની સાચી મૂડી છે.

સભ્યતા અને સંસ્કૃતિ વચ્ચેનો માર્મિક ભેદ સ્પષ્ટ કરતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું કે, આધુનિક સુવિધાઓ, ટેકનોલોજી અને ભૌતિક સાધનો ‘સભ્યતા‘ ના સૂચક છે જે જીવન સરળ બનાવે છે, જ્યારે અહિંસા, સત્ય, કરુણા, દયા અને સહિષ્ણુતા એ ‘સંસ્કૃતિ‘ ના સૂચક છે. સંસ્કૃતિ એ સમાજનો આત્મા છે અને સભ્યતા એ તેનું શરીર છે; સાહિત્ય અને સંસ્કૃતિ વિહીન સમાજ પથ્થર સમાન બની જાય છે.

