એર ઈન્ડિયાનું બોઈંગ 787-8 ડ્રીમલાઈનર એરક્રાફ્ટ ફરી એકવાર હેડલાઈન્સમાં છે. સોમવારે એરલાઈને જણાવ્યું હતું કે લંડનથી બેંગ્લોર આવી રહેલી ફ્લાઈટમાં ફ્યુઅલ સ્વીચમાં ખામી જોવા મળી હતી, ત્યારબાદ તેની ફ્લાઈટ બંધ કરી દેવામાં આવી હતી. એરલાઈને આ અંગે DGCAને જાણ કરી, ત્યારબાદ DGCAએ અન્ય તમામ એરક્રાફ્ટના ફ્યુઅલ સ્વિચ પણ ચેક કરવાનો નિર્દેશ આપ્યો. એરલાઈને કહ્યું કે તમામ વિમાનોની તપાસ કરવામાં આવી હતી અને તેમાં કોઈ ખામી જોવા મળી નથી.
આ બાબતે જારી કરાયેલા નિવેદનમાં એર ઈન્ડિયાએ જણાવ્યું હતું કે, “અમને માહિતી મળી છે કે અમારા એક પાઈલટે બોઈંગ 787-8 એરક્રાફ્ટની ઈંધણ નિયંત્રણ સ્વીચમાં સંભવિત ખામીની જાણ કરી છે. પ્રારંભિક માહિતી મળતાં, અમે એરક્રાફ્ટને ગ્રાઉન્ડ કરી દીધું છે અને પાયલોટની ચિંતાને લઈને પ્રાથમિકતાના આધારે તપાસ કરવા OEMને નિયુક્ત કર્યા છે.”
એરલાઈને વધુમાં કહ્યું કે, “આ બાબતની જાણ DGCAને કરવામાં આવી છે.” પોતાની વાત ચાલુ રાખતા, એરલાઈને કહ્યું, “ડીજીસીએને આ બાબતની જાણ કરવામાં આવી છે. ડીસીજીએની સૂચનાઓને અનુસરીને, એર ઈન્ડિયાએ તેના કાફલામાંના તમામ બોઈંગ 787 એરક્રાફ્ટના ફ્યુઅલ કંટ્રોલ સ્વિચનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં કોઈ સમસ્યા જોવા મળી ન હતી. એર ઈન્ડિયામાં મુસાફરો અને ક્રૂની સલામતી સર્વોચ્ચ મહત્વ ધરાવે છે.” ઉલ્લેખનીય છે કે આ મામલો એવા સમયે પ્રકાશમાં આવ્યો છે જ્યારે અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટને દુર્ઘટના થયાને થોડા મહિના જ થયા છે. આ અકસ્માતમાં 260 લોકોના મોત થયા હતા. તે અકસ્માતની તપાસ દરમિયાન પણ આવી જ સ્થિતિ સામે આવી હતી.
લંડનથી બેંગ્લોરની ફ્લાઈટમાં શું થયું?
સેફ્ટી મેટર્સ ફાઉન્ડેશન દ્વારા સોશિયલ મીડિયા પર જારી કરવામાં આવેલા પ્રેસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફ્લાઇટ ક્રૂએ પાયલટને ડાબા એન્જિનમાં ફ્યુઅલ કંટ્રોલ સ્વીચના અસામાન્ય વર્તન વિશે જાણ કરી હતી. પ્રેસ રિપોર્ટ અનુસાર, ક્રૂ મેમ્બરે કહ્યું, “એન્જિન સ્ટાર્ટ કરતી વખતે ફ્યૂલ કંટ્રોલ વારંવાર તેની પોઝિશન બદલી રહ્યું હતું, ચાલુ રહેવાને બદલે તે વારંવાર કટ-ઓફ તરફ જતું હતું. આવી સ્થિતિમાં ઘણી વખત ફ્લાઈટ દરમિયાન એન્જિન બંધ થઈ જાય છે, જેના કારણે અકસ્માત થાય છે.” આ મામલાની માહિતી સામે આવ્યા બાદ ફ્લાઈટને રોકી દેવામાં આવી હતી.

