૧૨ જિલ્લામાં ઍલર્ટઃ ૧૪ મે સુધી રાજ્યમાં તાપમાનનો પારો વધવાની શક્યતા
ગાંધીનગર, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી તીવ્ર ગરમીનો પ્રકોપ યથાવત્ રહેશે. હાલમાં ગુજરાતની આસપાસ ત્રણ હવામાન સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે રાજ્યમાં ઉત્તરથી ઉત્તર-પશ્ચિમ તરફના ગરમ પવનો ફૂંકાઈ રહ્યા છે. આ પવનોને લીધે વિવિધ શહેરોમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
જો કે, આકરી ગરમી બાદ રાહતના સમાચાર પણ છે. આગામી ત્રણ દિવસ પછી વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ૨થી ૪ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે, રાજ્યમાં પડેલી રહેલી આકરી ગરમીથી બે વ્યક્તિના મૃત્યુ નિપજ્યા છે. સુરતમાં બપોરના સમયે અનુજ કુમાર નામનો યુવાન અચાનક જ ચક્કર આવતા ઢળી પડયો હતો અને તેનું મોત નિપજ્યું હતું જ્યારે વડોદરામાં ઘરમાં જ અસહ્ય ગરમીના કારણે ગભરામણ થતાં એક વૃદ્ધાનું મોત નિપજ્યું છે.
રાજ્યમાં છેલ્લા ચાર દિવસથી પડી રહેલી અસહ્ય ગરમીના કારણે લૂ લાગવાથી થતાં રોગોના ૪૦૦થી વધુ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ ગઈકાલે ૧૩ કેસ નોંધાયા હતા. જેનાથી નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળશે.
દરમિયમાન મંગળવારે રાજ્યમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગર અને અમરેલી ૪૪.પ ડિગ્રી નોંધાયું હતું જ્યારે મેગા સિટી અમદાવાદમાં ગરમીનો પારો ૪૪.૪ ડિગ્રીએ પહોંચ્યો છે. આવી જ રીતે પાટનગર ગાંધીનગરમાં ૪૩.૭, ડીસામાં ૪ર.૮, વીવીનગરમાં ૪ર.૯, વડોદરામાં ૪૩.૬, સુરતમાં ૪ર.ર, ભૂજમાં ૪ર, નલિયામાં ૩૬, કંડલા એરપોર્ટ ખાતે ૪૩, ભાવનગરમાં ૪ર, રાજકોટમાં ૪૩.૭ અને કેશોદમાં ૩૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના ૧ર જેટલા શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને પાર પહોંચતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. રાજ્યની જનતાને ૧૪ મે બાદ ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે.
હવામાન વિભાગ અનુસાર, પશ્ચિમ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે જે સમુદ્ર સપાટીથી ૦.૯ કિલોમીટર ઉપર છે, જ્યારે બીજું સાયક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર ૧.૫ કિલોમીટરની ઉંચાઈ સુધી વિસ્તરેલું છે.
આમ, અત્યારે એક સાથે ૩ મુખ્ય સિનોપ્ટિક સિસ્ટમ સક્રિય હોવાના કારણે તાપમાનમાં વધારો નોંધાયો છે. જેના કારણે આગામી ૧૪ મે સુધી કચ્છ-સૌરાષ્ટ્ર સહિત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં કાળઝાળ ગરમીને લઈને હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે(૧૨ મે) કચ્છ, સુરેન્દ્રનગર, સુરત જિલ્લામાં હીટવેવનું આૅરેન્જ ઍલર્ટ અને અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, વડોદરા, બોટાદ, રાજકોટ, અમરેલી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યલો ઍલર્ટ છે.
રાજ્યમાં કાળઝાળ ગરમીનો માહોલ યથાવત્ છે, ત્યારે આગામી ૧૩-૧૪ મે દરમિયાન કચ્છ, સુરેન્દ્રનગર અને વડોદરા જિલ્લામાં હીટવેવનું આૅરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, અમરેલી જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું કે, ત્રીજી સિસ્ટમ ઉત્તર પાકિસ્તાન પર ૩.૧ કિલોમીટરની ઉંચાઈ પર છે અને હાલમાં પવનો પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશા તરફ ફૂંકાઈ રહ્યા છે. ૧૨થી ૧૮ મે સુધી હવામાન સામાન્ય રીતે સૂકું રહેશે અને આગામી ૩ દિવસ સુધી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ તે પછી તાપમાનમાં ૨થી ૪ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે.
આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં તાપમાન ૪૧થી ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી રહેવાની સંભાવના છે. સવારે ૧૦ વાગ્યાથી જ ગરમી એનું આકરું સ્વરૂપ ધારણ કરતાં લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આ ઉપરાંત સાંજના સમયે પણ ગરમ પવન ફૂંકાતો હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

