(એજન્સી)અમદાવાદ, અમદાવાદના સોના-ચાંદીના પ્રખ્યાત બજાર માણેકચોક વિસ્તારમાં ચોરી અને વિશ્વાસઘાતની ઘટના સામે આવી છે. અહીં આવેલી જ્વેલર્સની દુકાનમાં મેનેજરે જ માલિકની આંખમાં ધૂળ નાખીને લાખો રૂપિયાના સોનાની ચોરી આચરી હતી.
છેલ્લા છ મહિનાથી ચાલી આવતી આ ચોરીની વિગતો ત્યારે સામે આવી જ્યારે મેનેજર અચાનક દુકાને આવવાનું બંધ કરી ગાયબ થઈ ગયો હતો. જ્વેલર્સના માલિકે આ અંગે ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યાના ગણતરીના કલાકોમાં જ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી ફરાર મેનેજરને ઝડપી લીધો છે.
મળતી માહિતી અનુસાર, આ ઘટના અંગે બોપલ વિસ્તારમાં રહેતા અને ખાડિયા માણેકચોકમાં જ્વેલર્સની દુકાન ચલાવતા ૩૨ વર્ષીય વેપારી મુકેશ સોનીએ ફરિયાદ નોંધાવી છે. તેમની દુકાનમાં છેલ્લા દોઢ વર્ષથી ધવલ બુરસે નામનો યુવક મેનેજર તરીકે નોકરી કરતો હતો,
જે દુકાનનો તમામ હિસાબ અને સોનાના સ્ટોકની દેખરેખ રાખતો હતો. ગત ૨૯મી મેના રોજ જ્યારે સ્ટોકની તપાસ કરવામાં આવી ત્યારે વેપારીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દુકાનમાં રહેલા કુલ ૧૭૫૩.૨૬૩ ગ્રામના ૨૫ સોનાના ટુકડાઓમાંથી ૨૮૦ ગ્રામ ફાઈન સોનું ઓછું હોવાનું જાણવા મળ્યું હતું.
જેની બજાર કિંમત અંદાજે ૪૦ લાખ રૂપિયા થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મેનેજર ધવલ બુરસેએ ગત પાંચમી ડિસેમ્બર ૨૦૨૫થી લઈને ૨૯મી મે ૨૦૨૬ દરમિયાન માલિકની નજર ચૂકવીને રોજેરોજ થોડું-થોડું કરીને કુલ ૨૮૦ ગ્રામ સોનું ચોરી લીધું હતું જેથી કોઈને એકસાથે ખબર ન પડે. વેપારી મુકેશ સોનીએ આ અંગે ખાડિયા પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી.

