નાસાના અવકાશયાત્રી અનિલ મેનન અને બે રશિયન અવકાશયાત્રીઓ મંગળવારે સોયુઝ MS-29 અવકાશયાનમાં કઝાકિસ્તાનથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે રવાના થયા હતા. અનિલ મેનન અને રશિયન અવકાશયાત્રીઓ (પ્યોત્ર ડુબ્રોવ અને અન્ના કિકિના) ને લઈને આ અવકાશયાન ભારતીય સમય અનુસાર રાત્રે 8.17 વાગ્યે બાયકોનુર કોસ્મોડ્રોમથી ઉડાન ભરી. આ વાહનને સ્પેસ સ્ટેશન સુધી પહોંચવામાં લગભગ ત્રણ કલાક લાગશે અને તે પૃથ્વીના બે ચક્કર લગાવશે. આ પછી, તે ભારતીય સમય અનુસાર રાત્રે 11:56 વાગ્યે સ્ટેશનના ઓપરેશનલ મોડ્યુલ સાથે આપમેળે કનેક્ટ થઈ જશે.
નાસા અનુસાર, અનિલ મેનનની આ પ્રથમ અવકાશ યાત્રા છે, જ્યારે બંને રશિયન અવકાશયાત્રીઓ બીજી વખત સ્પેસ મિશન પર ગયા છે. અનિલ મેનનના પરિવારના સભ્યો, તેમની અવકાશયાત્રી પત્ની અન્ના વિલ્હેમ અને NASA એડમિનિસ્ટ્રેટર જેરેડ ઈસાકમેન સહિત અવકાશ મિશનના પ્રક્ષેપણ દરમિયાન બાઈકોનુર કોસ્મોડ્રોમ ખાતે હાજર હતા. સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા પછી, આ ત્રણેય અવકાશયાત્રીઓ નાસાના અવકાશયાત્રીઓ (જેસિકા મીર, જેક હેથવે અને ક્રિસ વિલિયમ્સ), યુરોપિયન સ્પેસ એજન્સીના અવકાશયાત્રી સોફી એડેનોટ, રોસકોસમોસ અવકાશયાત્રીઓ સર્ગેઈ કુડ-સ્વેર્ચકોવ, સર્ગેઈ મિકેવ અને એન્ડ્રી ફેડવે સાથે મિશનમાં જોડાશે.
મિશનનો હેતુ શું છે
અનિલ મેનન, પ્યોત્ર ડુબ્રોવ અને અન્ના કિકિનાનું આ મિશન લગભગ 8 મહિના સુધી ચાલશે. ત્રણેય એપ્રિલ 2027 માં પૃથ્વી પર પાછા ફરવાના છે. નાસાના જણાવ્યા અનુસાર, અનિલ મેનન અવકાશમાં વૈજ્ઞાનિક સંશોધન અને નવી તકનીકો કરશે. તેમનો ઉદ્દેશ્ય માનવ અવકાશ સંશોધનને આગળ વધારવાનો અને પૃથ્વી પરના જીવનને લાભદાયક ટેકનોલોજી વિકસાવવાનો છે. રશિયાની ઈન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન કોઓપરેશન એજન્સીના વડા યેલેના રેમિઝોવાએ કહ્યું હતું કે આ રોકેટની સાથે ભારતીય સ્કૂલના બાળકો દ્વારા બનાવેલા પેઈન્ટિંગ્સ પણ અંતરિક્ષમાં મોકલવામાં આવી રહ્યા છે.

