ભારતીય પાસપોર્ટ ધારકોને થાઈલેન્ડમાં વિઝા મુક્ત પ્રવેશ મળવાનું ચાલુ રહેશે. જો કે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. વિઝા વિના ભારતીયો થાઈલેન્ડમાં વધુમાં વધુ 30 દિવસ જ રહી શકશે. થાઈલેન્ડ સરકારે એક ખાસ કારણસર આ પગલું ભર્યું છે. હકીકતમાં, ભારતીયોના વિઝા-મુક્ત પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પછી, ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો હતો. તમને જણાવી દઈએ કે થાઈલેન્ડ માટે ભારત એક મોટું બજાર છે. મોટી સંખ્યામાં ભારતીયો થાઈલેન્ડ ફરવા જાય છે.
તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે
થાઈલેન્ડ કેબિનેટે મંગળવારે તેની સાપ્તાહિક બેઠકમાં ભારતીય પ્રવાસીઓ માટે 30 દિવસના વિઝા-મુક્ત પ્રવેશને મંજૂરી આપી હતી. પ્રવાસન મંત્રી સુરસક પંચરોએનવોરાકુલે જણાવ્યું હતું કે આ પગલાનો હેતુ ભારતીય પ્રવાસીઓ માટે વસ્તુઓને સરળ બનાવવાનો છે. તેનાથી દેશના પ્રવાસન ઉદ્યોગને પણ ટેકો મળશે. તેમણે કહ્યું કે આથી કેબિનેટે ભારતીય પ્રવાસીઓ માટે 30 દિવસના વિઝા-મુક્ત પ્રવેશને મંજૂરી આપી છે. થાઈલેન્ડ માટે આ એક મોટું બજાર છે. પ્રવાસન મંત્રીએ એમ પણ કહ્યું કે જો ભવિષ્યમાં આ પગલાને કારણે કોઈ સમસ્યા ઉભી થાય તો સરકાર તેની સમીક્ષા કરી શકે છે.
અગાઉ શું જોગવાઈ હતી?
ભારતીય પ્રવાસીઓને હાલમાં થાઈલેન્ડમાં વિઝા વિના 60 દિવસ રહેવાની છૂટ છે. પરંતુ થાઈ કેબિનેટે વિઝા-મુક્તિ ધરાવતા દેશોની યાદી 93થી ઘટાડીને 54 કરવાની દરખાસ્તને મંજૂર કર્યા બાદ અને આ સમયગાળાને 30 દિવસની મર્યાદામાં મૂક્યા પછી આ નીતિ મે મહિનામાં સમાપ્ત થવાની તૈયારીમાં હતી. જોકે, આ દરખાસ્ત હજુ અમલમાં આવી નથી. પ્રવાસન મંત્રીના જણાવ્યા અનુસાર, આ જાહેરાતથી ભારતીય પ્રવાસીઓમાં મૂંઝવણ ઉભી થઈ છે અને અહીંથી થાઈલેન્ડ આવતા લોકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ચીન અને મલેશિયા પછી ભારત આ વર્ષે થાઈલેન્ડ માટે ત્રીજા સૌથી મોટા પ્રવાસી સ્ત્રોત છે.

