ગમે તેવી સ્થિતિમાં દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ ચિંતન શિબિરો પુરું પાડે છે – મુખ્યમંત્રીશ્રી
·આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ.
·સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય ચિંતન શિબિરોથી પાર પડ્યો છે. હવે આપણે વધુ તેજ ગતિ અનેશ્રેષ્ઠતા તરફ સાથે મળીને આગળ જવાનું મંથન ત્રણ દિવસની શિબિરમાં કરવું છે.
·ગુજરાતની સ્થાપનાના 75 વર્ષની ઉજવણીનો 2035માં આવનારો અવસર 2047ના વિકસિત ભારત- વિકસિત ગુજરાત માટેનો માઈલસ્ટોન બનશે.
ત્રિદિવસીય ચિંતન શિબીરમાં ક્ષમતા નિર્માણ અને મૂલ્યાંકન,પોષણ અને આરોગ્ય,ગ્રીન ઉર્જા અને પર્યાવરણ,જાહેર સલામતી,સેવા ક્ષેત્રમાં વૃદ્ધિ વિષયો પર સામૂહિક ચિંતન-મંથન કરાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની 12મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યું કે,વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા સમયથી આગળનું વિચારીને અને સતત ચિંતન કરીને ગ્લોબલી આગળ રહેવાની સંસ્કૃતિ ચિંતન શિબિર થકી વિકસાવી છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે,ગમે તેવી સ્થિતિ હોય દ્રઢ મનોબળ અને અડગ વિશ્વાસથી વિકાસની ગતિ અને સામાન્ય માનવીના ભલા માટેના કામોની દિશામાં આગળ વધવા માટે સામૂહિક ચિંતનનું પ્લેટફોર્મ આવી ચિંતન શિબિર પૂરું પાડે છે.
મુખ્યમંત્રીશ્રીએ દરેક ચિંતન શિબિરના પ્રારંભમાં પ્રસ્તુત થતા પ્રેરણા ગીત “મનુષ્ય તું બડા મહાન હૈ” ની વિભાવના માર્મિક રીતે સમજાવતા કહ્યું કે,આપણામાં જે અનંત શક્તિ પડેલી છે તેની તાકાત-ક્ષમતા ઓળખીને પ્રજાના હિતનું કામ સતત કરતા રહેવું તેની પ્રેરણા ચિંતન શિબિરના વિચાર મંથનથી મળે છે.
તેમણે કહ્યું કે,આપણને જે જવાબદારી મળી છે તેને પૂરી નિષ્ઠાથી નિભાવીએ અને લોકોના કામના નિકાલને બદલે ઉકેલ લાવીએ તેવા પોઝિટિવ થીંકીંગથી કાર્યરત રહીએ તો જ ઈશ્વરે આપણને આપેલી જન સેવાની તકને ઉજાળી શકીશું. આ માટે જે કામ કરીએ તેનું મૂલ્યાંકન ચિંતન કરીને તેના પરિણામોનું પણ મંથન સમયાંતરે કરવાની જરૂરિયાત તેમણે સમજાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ચિંતન શિબિરની 2003માં શરૂઆત કરાવતા કહેલી વાત “સાથે આવવું શરૂઆત છે,સાથે વિચારવું એ પ્રગતિ છે અને સાથે કામ કરવું એ સફળતા છે” નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે,સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસનો ધ્યેય ચિંતન શિબિરોથી પાર પડ્યો છે. હવે આપણે વધુ તેજ ગતિ અને શ્રેષ્ઠતા તરફ સાથે મળીને આગળ જવાનું મંથન ત્રણ દિવસની શિબિરમાં કરવું છે.

